ઉપરવાસમાં ભારે વરસાદને કારણે આજે નર્મદા ડેમમાંથી બે લાખ અને ઉકાઇ ડેમમાંથી 1.73 લાખ ક્યુસેક પાણી છોડાયું છે. જેના કારણે કાંઠા વિસ્તારના ગામોને અત્યારે હાઇએલર્ટ પર રાખવામાં આવ્યા છે અને ત્યાં વહીવટી તંત્ર, ડિઝાસ્ટર રિસપોન્સ ફોર્સ તેમજ પોલીસની ટીમો તૈનાત કરવામાં આવ્યા છે. ડેમોના કેચમેન્ટ વિસ્તારમાં વરસાદના કારણે ડેમની સપાટી ઓછી કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે અગાઉ પણ નદીમાં પાણી છોડાતા આ ગામોને એલર્ટ કરાયા હતાં. જિલ્લા વહિવટીતંત્રએ ત્રણેય તાલુકાઓના સરકારી અધિકારીઓ અને પોલીસ તંત્રને કાંઠાના ગામો અને ખાસ કરીને આ ગામોના નીચાણવાળા વિસ્તારોમાં સાવધાનીના પગલાં લેવા સૂચના આપવામાં આવી છે. વડોદરા જિલ્લામાં નર્મદા નદી શિનોર, ડભોઇ અને કરજણ તાલુકાઓમાંથી પસાર થાય છે.
ઉકાઇ ડેમમાં તબક્કાવાર પાણીનો ઇનફલો ઘટીને 35,000 થઇ ગયો હોવાથી સતાધીશોએ પાણી છોડવાનું પણ 1.73 લાખથી ઘટાડી દઇને 52,000 કયુસેક કરી દેવાયુ હતુ. પરંતુ ફરીથી વરસાદની એક સિસ્ટમ બનતા ડેમ છલોછલ ભરાયેલો હોવાથી આવનારી પાણીની આવકને ધ્યાનમાં રાખીને સતાધીશોએ ડેમ ખાલી કરવાની શરૂઆત કરી હોઇ તેમ મોડી સાંજે 35,000 કયુસેક ઇનફલોની સામે 1 લાખ કયુસેક પાણી છોડવાનું આરંભ્યુ હતુ.
કેચમેન્ટમાં વરસાદની સાથે જ ઉપરવાસના ડેમમાંથી જે 1 લાખ કયુસેક પાણી છોડાયુ હતુ. તે પાણીની આવક ઉકાઇ ડેમમાં સોમવારની રાત્રીથી આવવાની શરૂઆત થઇ હતી. જેમાં રાત્રીના 1.21 લાખ કયુસેક, 1.39 લાખ કયુસેક, 1.56 લાખ કયુસેક ઠલવાઇ હતી. તેની સામે સતાધીશોએ અગમચેતી વાપરીને 1.73 લાખ કયુસેક પાણી છોડીને સપાટી ઘટાડતા ગયા હતા. આટલુ પાણી આજે બપોર સુધી છોડીને પાણીની આવક ઘટતા પાણી છોડવાનું પણ તબક્કાવાર ઘટાડતા ગયા હતા.