પશ્ચિમ બંગાળમાં આવેલા વાવાઝોડા “અમ્ફાન” ને કારણે પશ્ચિમ બંગાળમાં 85 લોકોના મોત થયા હતા, જ્યારે જંગી આર્થિક નુક્સાન પણ થયું હતું. આ વાવાઝોડાની શાહી હજુ તો સૂકાઈ પણ નથી અને હવે ગુજરાત પણ એક ચક્રવાતી વાવાઝોડાનો ખતરો મંડરાવા લાગ્યો છે.
અરબી સમુદ્રમાં છેલ્લા 4 દિવસ દરમિયાન સર્જાયેલા ડીપ ડિપ્રેશનના પગલે હવે આ ડિપ્રેશન વાવાઝોડું ગુજરાત તરફ તેજ ગતિથી આગળ વધી રહ્યું છે. જો કે આ અંગેની કોઈ સત્તાવાર જાહેરાત હવામાન ખાતા તરફથી કરાઈ નથી, પરંતુ નિષ્ણાતોના જણાવ્યા મુજબ, આ વાવાઝોડું ગુજરાતમાં ત્રાટકશે તો કલાકના 120 કિમી સુધીની ઝડપે પવન ફૂંકાઇ શકે છે. જો કે ભારતીય હવામાન વિભાગ તરફથી આ મામલે કોઈ સત્તાવાર નિવેદન નથી આપવામાં આવ્યું.
Windy.com વેબસાઈટ મુજબ, હાલ જે ડિપ્રેશન ઓમાન-મસ્કત તરફ છે, તે આગામી 4-5 જૂનના રોજ ગુજરાતના કચ્છ-સૌરાષ્ટ્ર તરફ વાવાઝોડા તરીકે ફંટાય તેવી આગાહી વ્યક્ત કરાઈ છે. આ ડિપ્રેશન વાવાઝોડાનું સ્વરૂપ લેશે, તો દ્વારકા થઈને તે કચ્છના કંડલા અને આજુબાજુના વિસ્તારોને ધમરોળતું રાજસ્થાન તરફ આગળ વધે અને ત્યાં વિખેરાઇ જાય તેવી શક્યતાઓ છે.