દાહોદઃ દાહોદમાં એક તરફી પ્રેમમાં પાગલ ભાણાએ જ પોતાના મામાની હત્યા કરી હોવાની ચકચારી ઘટના બની હતી. માનવામાં આવી રહ્યું છે કે ભાણો જે યુવતીને એક તરફી પ્રેમ કરતો હતો એજ યુવતી સાથે મામાના સંબંધો હતો. જોકે, આ વાત તેને પસંદ ન હોવાના કારણે મામાને રસ્તામાંથી હટાવવા માટે હત્યાનો પ્લાન ઘડ્યો હતો. અને પોતાના જન્મ દિવસે જ ઉજવણીના બહાને બોલાવીને તળાવમાં ધક્કો માર્યો હતો. અને પથ્થરના ઘા મારીને હત્યા કરી હતી. જોકે, પોલીસે આરોપી ભાણાની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથધરી છે.
ઘટના અંગે મળી માહિતી પ્રમાણે મૃતકનો ભાણેજ અર્જુન નીનામાં અવારનવાર શ્યામના ઘરે આવતો હતો અને અર્જુન જે છોકરીને પ્રેમ કરતો હતો તે છોકરી સાથે શ્યામ પણ વાતચીત કરતો અને મળતો હતો. આ બાબતને લઇને શ્યામ અને અર્જુન વચ્ચે અનેકવાર તકરાર પણ થઈ હતી.
આ માહિતી મળતા પોલીસે અર્જુન નીનામાની અટકાયત કરી કડક પૂછપરછમાં અર્જુને ગુનો કબુલ કરી લીધો હતો. અર્જુન અને શ્યામ વચ્ચે એક જ છોકરીના પ્રેમ સબંધને લઈને બોલાચાલી થઈ હતી. ત્યારબાદ અર્જુને શ્યામની હત્યાનો પ્લાન ઘડી નાખ્યો હતો.
બનાવના દિવસે અર્જુનનો જન્મદિવસ હતો. જેથી જન્મદિવસની ઉજવણીના બહાને અર્જુને મામાને પોતાના ઘરે બોલાવી મોટરસાયકલ ઉપર રાબડાળ લઈ ગયો ત્યાંથી મુવાલીયા તળાવ ઉપર લઈ જઈ તળાવની પાળ ઉપરથી શ્યામને પાણીમાં ધક્કો મારી દીધો હતો.
જ્યારે મૃતકે બચવા માટે પાણીમાંથી બહાર આવવાનો પ્રયત્ન કરતા અર્જુને પથ્થરો વડે માથાના ઉપરાછાપરી ઘા કરી શ્યામને મોતને ઘાટ ઉતારી દીધો હતો. પોલીસે આરોપી અર્જુનની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.