ભાજપ સરકારની કેબિનેટની બેઠક યોજાઈ હતી. જેમાં મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. કેબિનેટમાં કોરોના સામે લડવાથી લઈને આવનારા બજેટ અંગેની વાતો પણ કરવામાં આવી છે. ઉપરાંત પ્રજાની સુખાકારી માટે અલગ અલગ નિર્ણયો લેવામાં આવ્યા છે. કેબિનેટમાં લેવાયેલા નિર્ણયો પ્રમાણે રાજ્યની પ્રજાની સુવિધા માટે વાહનવ્યવહાર વિભાગ દ્વારા 1000 નવી બસો ખરીદાશે. આ ઉપરાંત અન્ય કેટલાક નિર્ણયો પણ લેવાયા છે. મંત્રી જીતુ વાઘાણીએ પ્રેસ કોન્ફરન્સ કરીને બેઠકમાં લેવાયેલા નિર્ણયો અંગેની જાણકારી આપી હતી.
આજે બુધવારે ગાંધીનગર ખાતે કેબિનેટ બેઠક મળી હતી. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષતામાં કેટલાક નિર્ણયો લેવામાં આવ્યા હતા. આ બેઠકમાં અત્યારે વધતી જતી કોરોના અંગેની સ્થિતિને લડવા માટે સરકારની તૈયારીઓ કરવા અંગે ચર્ચા થઈ હતી. બીજી તરફ વાઈબ્રન્ટ સિમિટ રદ કરવામાં આવી ત્યારે જે સમય બચ્યો છે તેનો ઉયોગ કરીને આગામી બજેટ અંગે તૈયારીઓની પણ ચર્ચા થઈ હતી. આ બેઠકમાં વાહનવ્યવહાર મંત્રી દ્વારા મુકાયેલા બસો ખરીદવા અંગેના પ્રસ્તાવને મંજૂર કરીની મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે રાજ્યના લોકો માટે 1000 નવી બસો ખરીદવાનો નિર્ણય કર્યો છે.
આ ઉપરાંત 500 સુપર એક્સપ્રેસ બસો ફાળવવાનો નિર્ણય કરાયો છે. સાથે સાથે 200 સ્લિપર કોચ બસો પણ ફાળવવામાં આવશે. મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતને જોડતો નવો કોરિડોર બનાવા ઉપરાંત સુરક ગેસ કાંડ અંગે તપાસના આદેશ અંગેની પણ ચર્ચા કરવામાં આવી હતી. ઉપરાંત ભરૂચમાં થતાં નેશનલ હાઈવે 8 ઉપર ટ્રાફિક જામની સમસ્યાને દૂર કરવા માટે ભરૂચના ઊભેણ ખાતે વધુ એક પુલ 27 કરોડના ખર્ચે બનાવવાનો નિર્ણય પણ કરવામાં આવ્યો છે.
મંત્રી જીતુ વાઘાણીએ કેબિનેટમાં લેવાયેલા નિર્ણયો અંગે વધુ માહિતી આપતા જણાવ્યું હતું. ગુજરાતના 1600 કિલોમિટરના દરિયા કિનારે પ્રવાસન સ્થળની જોડતા અને સુવિધાઓમાં વધારો કરતા એક કોસ્ટલ હાઈવ બનાવવામાં આવશે. જે એક તરફ દરિયા કિનારો અને બીજી તરફ હાઈવેના સ્વરૂપમાં હશે. આ કોસ્ટલ હાઈવે 2440 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવશે.