આણંદઃ અત્યારના સમયમાં લૂંટ અને ચોરીની ઘટનાઓ વધતી જાય છે ત્યારે પોલીસ પણ સતર્ક થઈને વાહન ચેકિંગ સઘન બનાવી રહી છે. આણંદ પોલીસ દ્વારા રાત્રિના સમયે પોલીસ પેટ્રોલિંગ અને વાહન ચેકિંગમાં વધારે સ્ટાફ મૂકી કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં વાસદ પોલીસના જવાનો ટોલનાકાએ વાહનો ચેક કરી રહ્યા હતા. ત્યારે વડોદરા તરફથી એક નંબર પ્લેટ વગરના બાઈક ઉપર બે શખ્સો આવી ચઢતાં પોલીસે તેમને શંકાને આધારે રોકીને બાઈકની માલિકીના કાગળીયાની માંગણી કરી હતી.
પરંતુ બન્ને શખ્સો ગલ્લાતલ્લા કરવા લાગતાં પોલીસે તેઓની અંગજડતી કરતાં તેમની પાસેથી એક દેશી બનાવટની પિસ્તોલ, બે જીવતા કારતુસો, ખંજર, મરચું પાવડર મળી આવ્યા હતા. જેથી બન્નેના નામઠામ પૂછતાં દિનેશ નારાયણલાલ ગુર્જર (રે. પનોતીયા સ્કૂલની પાસે, તા. અમેઠી, રાજસમંદ, રાજસ્થાન)અને હિંમત નરાજી ગુર્જર (રે. પુનિયા, તા. દેવગઢ, રાજસમંદ, રાજસ્થાન)ના હોવાનું જણાવ્યું હતુ.
જેથી બન્નેને પોલીસ મથકે લાવીને આકરી પૂછપરછ કરતાં તેઓએ કબૂલાત કરી હતી કે વડોદરાના ગોરવા ખાતે આવેલા પંચવટી સર્કલ પાસેની જય જલારામ સોસાયટીમાં રહેતા પોતાના સાગરિત કિશોર અર્જુનભાઈ તોસવાડા સાથે મળીને વડોદરામાં લૂંટના પ્લાન અર્થે તેઓ આવ્યા હોવાનું જણાવ્યું હતુ.
જેથી પોલીસે વડોદરા છાપો મારીને કિશોરને પણ ઝડપી પાડ્યો હતો અને ત્રણેયની પૂછપરછ કરતાં કિશોર તોસવાડા ધાબા ઉપર તેમજ મકાનોમાં કુલીંગનું કામકાજ કરે છે. તેણે થોડા સમય પહેલાં વડોદરાના તાંદલજા વિસ્તારમાં આવેલા મિરાજ મોલની સામે આવેલી એક સોસાયટીના બંગલામાં રહેતા સિનિયર સિટિઝન દંપત્તીના ઘરે કુલીંગનું કામકાજ કર્યું હતુ.
એ દરમ્યાન તેણે ઘરમાં કોણ-કોણ રહે છે અને મોટી માલમત્તા મળી આવશે, તેની પાક્કી ખાત્રી કરી લીધી હતી અને તેની ટીપ પોતાના મિત્ર દિનેશને આપી હતી. જેથી તેઓએ લૂંટનો પ્લાન બનાવ્યો હતો અને તે આશ્રયે જ ગઈકાલે તેઓ વડોદરા આવ્યા હતા.