કચ્છમાં ફરી એકવાર ભૂકંપનો આંચકો નોંધાયો છે. સવારે 9.15 વાગ્યે આવેલા ભૂકંપના આંચકાની તીવ્રતા 3.8 રિક્ટર સ્કેલ નોંધવામાં આવી છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ ભચાઉથી 9 કિલોમીટરથી નોર્થ-ઇસ્ટ હોવાનું જાણવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા અઠવાડિયાથી ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ભૂકંપના આંચકાઓ નોંધવામાં આવી રહ્યા છે.
અગાઉ 20 ડિસેમ્બરે ભચાઉ નજીક 3.2 ની તીવ્રતાનો ભૂકંપની આંચકો નોંધાયો હતો . ભૂકંપની કેન્દ્ર બિંદુ રાપર અને ભચાઉ હતું. રાત્રે ભૂકંપના આંચકાને કારણે લોકોમાં ફફડાટ ફેલાયો હતો. ભચાઉથી 21 કિલોમીટર દૂર આવેલા વિસ્તારમાં આ આંચકો અનુભવાયો હતો.
નોંધનીય છે કે, 18 ડિસેમ્બરે ગુજરાતમાં એક જ દિવસમાં ભૂકંપની નવ જેટલા આંચકા અનુભવાયા હતા. રાજ્યના અલગ અલગ ત્રણ જિલ્લાઓમાં આંચકાઓ અનુભવાયા હતા. એકલા સુરેન્દ્રનગર જિલ્લામાં જ પાંચ આંચકા અનુભવતા ફફડાટ વ્યાપી ગયો છે.
14મી ડિસેમ્બરના રોજ સુરત અને આજબાજુના વિસ્તારમાં રાત્રે 8.45 કલાકે ભૂકંપના આંચકા અનુભવ્યા હતા. રિક્ટર સેલ પર 3.5નો આંચકો નોધાયો હતો. ભૂકંપનું એપી સેન્ટર સુરતથી 20 કિલોમીટર દૂર નોધાયું હતું. સુરતના ધરતીકંપના આંચકાની અસર ભાવનગરમાં પણ જોવા મળી હતી. તળાજા પંથકના ગામડાઓમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. 4 થી 5 સેકન્ડ સુધી ધરા ધુર્જતાં લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.