EX CM Rupani’s Last Rites પુત્ર ઋષભ ગાંધીનગર પહોંચ્યા, ડીએનએ રિપોર્ટ બાદ પાર્થિવ દેહ સોંપાશે
EX CM Rupani’s Last Rites 12 જૂનના રોજ અમદાવાદ નજીક થયેલી હૃદયદ્રાવક વિમાન દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનો કરુણ અવસાન થયું હતું. તેઓ લંડન પ્રવાસે જઇ રહ્યાં હતાં, પરંતુ દુર્ભાગ્યે આ દુર્ઘટનામાં 275 જેટલા લોકો સાથે તેમણે પણ જીવ ગુમાવ્યો. તેમાં 241 મુસાફરો, 12 ક્રૂ સભ્યો અને BJ મેડિકલ કોલેજના 34 લોકોનો સમાવેશ થાય છે, જ્યાં વિમાન તૂટી પડ્યું હતું.
અત્યારે પુરવાર કરવા માટે ડીએનએ ટેસ્ટની રાહ જોવાઈ રહી છે. પરીણામો આવ્યા પછી તેમનો પાર્થિવ દેહ પરિવારજનોને સોંપવામાં આવશે. તેમના પુત્ર ઋષભ રૂપાણી આજે વહેલી સવારે ગાંધીનગર તેમના નિવાસસ્થાને પહોંચી ગયા છે, જ્યારે પત્ની અને પુત્રી પહેલાંથી અમદાવાદ આવી ગયા હતા. ડીએનએ રિપોર્ટ મળ્યા બાદ તેમનો મૃતદેહ રાજકોટ લઇ જવામાં આવશે જ્યાં તેમના માદરે વતનમાં અંતિમ વિધિ થશે.
વિજય રૂપાણી 2016થી 2021 દરમિયાન ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સેવા આપી ચૂક્યા છે અને તેઓ રાજકોટ પશ્ચિમ બેઠક પરથી ધારાસભ્ય હતા. તેમના નિધનની વાતથી સમગ્ર રાજ્યમાં શોકનો માહોલ છે. રાજકોટ શહેરમાં ખાસ કરીને ભારે શોક વ્યાપી ગયો છે. ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આજે અડધા દિવસ માટે રાજકોટ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે જેથી લોકો લોકપ્રિય નેતાને શ્રદ્ધાંજલિ આપી શકે.
વિમાન દુર્ઘટનાની વધુ વિગતો અનુસાર પાઇલટ સુમિત સબરવાલનો છેલ્લો મેસેજ બહાર આવ્યો છે જેમાં તેમણે કહ્યું હતું, “મેડે, મેડે… પાવર ઓછી થઈ રહી છે, વિમાન ઉંચું થઈ રહ્યું નથી. અમે બચીશું નહીં.” આ મેસેજ એ દુર્ઘટનાની ગંભીરતા દર્શાવે છે.
વિજય રૂપાણીના અવસાનથી ન માત્ર રાજકીય વર્તુળમાં પણ સમગ્ર ગુજરાતના હૃદયમાં ખાલીપો સર્જાયો છે. તેમના યોગદાન અને સાદા સ્વભાવને કારણે તેઓ જનમાનસમાં ખાસ સ્થાન ધરાવતા હતા. આજે રાજકોટમાં તેમના અંતિમ દર્શન અને અંતિમ વિધિ માટે હજારો લોકો એકત્ર થવાની આશા છે.