સુરત : કોરોનાના સંક્રમણ વચ્ચે વિદ્યાર્થી સંગઠનોના પરીક્ષા ન લેવાના વિરોધ પ્રદર્શન બાદ પણ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા આજથી તમામ ફેકલ્ટીના અંડર અને પોસ્ટ ગ્રેજ્યુએટના અંતિમ વર્ષના 60 હજારથી વધારે વિદ્યાર્થીઓની ઓફલાઈન પરીક્ષાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. સુરતમાં વધતા જતા કોરોના સંક્રમણના કેસ અને ગણેશ ચતુર્થીની ઉજવણી બાદ નર્મદ યુનિવર્સિટીમાં યોજાનારી પરીક્ષા વિદ્યાર્થીઓ માટે સુપર સ્પ્રેડર સાબિત થઈ શકે તો તેમાં નવાઈ નહીં. કોરોના મહામારીના કારણે છેલ્લા ચાર મહીનાથી વિદ્યાર્થીઓ પરીક્ષાની રાહ જોઈ રહ્યા હતા, જે મુજબ હવે અંડર ગ્રેજ્યુએટના છેલ્લા સેમેસ્ટરની પરીક્ષા 10 સપ્ટેમ્બરથી જ્યારે પોસ્ટ ગ્રેજ્યુએટના બીજા અને ચોથા સેમેસ્ટરની પરીક્ષા આજથી શરૂ થશે.
ઓફલાઈન પરીક્ષામાં વિદ્યાર્થીઓને સુપર સ્પ્રેડર બનવાનો ડર
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિ. દ્વારા આજથી શરૂ થનારી ઓફલાઈન પરીક્ષા વિદ્યાર્થીઓ માટે સુપર સ્પ્રેડર સાબિત થઈ શકે છે. કોરોના સંક્રમણ વચ્ચે લેવાનારી પરીક્ષામાં વિદ્યાર્થીઓને કોરોના ગાઈડલાઈન્સ પ્રમાણે પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ આપવામાં આવશે. વિદ્યાર્થીઓએ માસ્ક અને સેનેટાઈઝર સાથે લાવવાનું રહેશે. ફક્ત સોશિયલ ડિસ્ટન્સિંગની જવાબદારી યુનિવર્સિટી તંત્રની રહેશે. યુનિવર્સિટી તંત્ર દ્વારા હાલ પટ્ટાવાળા અને કર્મચારીઓને રજા આપી દેવાઈ છે તો એક સાથે હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓનું સ્ક્રીનીંગ કેવી રીતે થશે તે મોટો પ્રશ્ન છે. નર્મદ યુનિ.ની પરીક્ષા અંગેની લોલમલોલ કામગીરીને કારણે વિદ્યાર્થીઓને કોરોના સંક્રમણનો ભય સતાવી રહ્યો છે.
નોંધનીય છે કે પ્રથમ અને બીજા વર્ષના વિદ્યાર્થીઓને મેરીટ બેજ પ્રમોશન આપવામાં આવ્યું છે. જ્યારે ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાનું નક્કી કરાયું છે. જે મુજબ બીકોમ અને બીએની પરીક્ષા 10 થી 21 સપ્ટેમ્બર તથા બીએસસીની 4 થી 19 સપ્ટેમ્બર દરમિયાન લેવામાં આવશે. આ ઉપરાંત બીબીએની પરીક્ષા 10 થી 16 સપ્ટેમ્બર સુધી ચાલશે. જ્યારે પોસ્ટ ગ્રેજ્યુએશનમાં એમકોમ, એમએ અને એમએસસીની પરીક્ષા 2 થી 9 સપ્ટેમ્બર સુધી લેવાશે. બીજા અને છઠ્ઠા સેમની પરીક્ષા 21 થી 25 સપ્ટેમ્બર સુધી તથા ચોથા સેમની પરીક્ષા 28 સપ્ટેમ્બરથી 3 ક્ટોબર સુદી લેવાશે.