હાલ ગુજરાતમાં એક નવા માતાજીએ ધૂમ મચાવી છે અને તે છે ઢબુડી મા. હજારો લોકોને ઢબુડી માતા પર અપાર શ્રદ્ધા છે. પણ આ તમામ લોકોને ચેતી જવાની જરૂર છે. કેમ કે, હાલના સમયમાં લોકોની અંધશ્રદ્ધાનો ફાયદો લેભાગુ તત્વો ઉઠાવે છે. અને માતાજીના નામે પૈસા કમાવાનો ધંધો ચલાવે છે. ઢબુડી માતાની માયાજાળમાં સામાન્ય લોકોની સાથે નેતાઓ અને સરકારી અધિકારીઓ પણ ફસાયા છે.
ગાંધીનગરની પાસે આવેલ રૂપલ ગામનો વતની ધનજી ઓડ પોતાને ઢબુડી મા ગણાવે છે. તેનું કહેવું છે કે, તેના પર જોગણી માતાની કૃપા થઈ છે. જે બાદ તેણે આ વાત લોકોમાં ફેલાવી હતી. ભોળાં લોકો પણ ધનજી ઓડની વાતમાં આવી તેને પૂજવા લાગ્યા. ઢબુડી માનું કહેવું છે કે, તેણે કેન્સર જેવાં રોગોને પણ મટાડી દીધા છે. આ માટે તે પોતાની એક ખાસ ટીમનો ઉપયોગ કરે છે.
ઢબુડી માની ચુંગાલમાં ગરીબ લોકો તો લૂંટાઈ જ રહ્યા છે. પણ સાથે સાથે ધારાસભ્યો, નેતાઓ અને પોલીસકર્મીઓ સાથે સરકારી અધિકારીઓ પણ ઢબુડી માની માયાજાળમાં ફસાયા છે. ઢબુડી મા સામે વિજ્ઞાન જાથાએ બાંયો ચઢાવી છે. અને ઢબુડી માની પોલ દુનિયા સામે બહાર પાડી છે. તો તમે પણ અંધશ્રદ્ધામાં આવી આવાં ઢોંગીઓની જાળમાં ફસાતાં પહેલાં ચેતી જજો.