સરકારે રાજ્યમાં ખેડૂતો પાસેથી મગફળી રૂપિયા 1055 પ્રતિ મણના ટેકાના ભાવે ખરીદ કરવાનો નિર્ણય લીધો પણ આ ખરીદી અઢી મહિના પછી કરવાની હોય અને એટલા સમયમાં તો ખેડૂતોએ નાછૂટકે બજારમાં જે ભાવ મળે તે ભાવે વેચવી પડે તેવી સ્થિતિ છે.
આ અન્વયે મોટાભાગના ખેડૂતોને સરકારની ખરીદીનો લાભ ન મળે તે મુદ્દે વિરોધ કરવા આજે ભારતીય કિસાન સંઘ દ્વારા રાજકોટ કલેક્ટર કચેરીએ ધસી જઇ ઉગ્ર વિરોધ પ્રદર્શન કરાયું હતું.
કિસાન સંઘે ખેડૂતોની મગફળી વેચાય તે પહેલા ખરીદી કરવા ભાર પૂર્વક માગણી કરી છે. આ સાથે ખેડૂત આગેવાનોની પોલીસે અટકાયત કરતા તેની સામે પણ રોષની લાગણી ફેલાઇ હતી.
ઉલ્લેખનીય છે કે ગત વર્ષની જેમ આ વર્ષે પણ મગફળીનું મબલખ પાક થવાની ધારણા છે અને અત્યારે જ સૌરાષ્ટ્રના રાજકોટ, ગોંડલ, હળવદ વગેરે માર્કેટ યાર્ડમાં મગફળી આવી રહી છે.