ગુજરાતમાં નેતૃત્વ પરિવર્તનની અટકળો ચર્ચાસ્પદ બની છે ત્યારે સુરતમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી પત્રકારે રાજીનામા અંગે પૂછેલા પ્રશ્નનો જવાબ આપ્યા વિના રવાના થઈ ગયા હતા. કટાણું મોં કરીને વિજય રૂપાણી જતા રહેતા નવેસરથી ગુજરાતમાં ચર્ચાએ જોર પક્ડયું છે કે હવે મુખ્યમંત્રીપદેથી રૂપાણીની વિદાય નક્કી છે.
ભાજપ દ્વારા નેતૃત્વ પરિવર્તનને લઈ લાંબા સમયથી ગુજરાત સરકારનો રિપોર્ટ કાર્ડ મેળવવામાં આવી રહ્યો હતો અને ગુજરાત સરકારના રિપોર્ટ કાર્ડને બનાવવાની જવાબદારી સંઘના ચોક્કસ નેતાઓને સોંપવામાં આવી હતી. અનેક મોરચે નિષ્ફળ રહેલી ગુજરાત સરકારનો રિપોર્ટ કાર્ડ નેગેટીવ આવતા ભાજપ હાઈકમાન્ડે ગુજરાતમાં નેતૃત્વ પરિવર્તન અંગે વિચારણા શરૂ કરી દીધી છે.
ભાજપના વર્તુળોના જણાવ્યા મુજબ મુખ્યમંત્રી તરીકે પાંચ પાટીદારોના નામ ચાલી રહ્યા છે. ટોપ પર પ્રફુલ પટેલ છે. પ્રફુલ પટેલને આનંદીબેન અને અમિત શાહના નજદીકના મનાય છે. બન્ને નેતાઓના આશિર્વાદ મળી શકે છે. જ્યારે પુરુષોત્તમ રૂપાલાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સીધા આશિવાર્દ છે. આ બન્ને નામ ઉપરાંત હાલના મહેસુલ મંત્રી કૌશિક પટેલનું નામ પણ ચર્ચામાં હોવાનું જાણવા મળી રહ્યું છે. આ સિવાય આરસી ફળદુ અને ખુદ આનંદીબેન પટેલનું નામ પણ ચર્ચાની એરણે હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. આમ પાંચ પાટીદાર નેતાઓની ફરતે હાલ સીએમનું પદ ભમી રહ્યું છે. હવે આમાંથી કોની લોટરી લાગે છે તે જોવાનું રહે છે. એવું કહેવાય છે કે અંતિમ નિર્ણય રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહનો રહેશે. ગયા વખતે પણ અમિત શાહે સીએમ પદે નીતિન પટેલની જગ્યાએ વિજય રૂપાણીનું નામ જાહેર કરી સૌને ચોંકાવી દીધા હતા. આ વખતે પણ તેઓ ચોંકાવી દે તેવું બની શકે છે.
ગુજરાતમાં નેતૃત્વ પરિવર્તન અંગે ભાજપનો એક પણ નેતા કશું બોલવા રાજી નથી. મોટાભાગના નેતાઓ નેતૃત્વ પરિવર્તનના સવાલથી પોતાની જાતને બચાવી રહ્યા હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે. ખુદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ ન તો ઈન્કાર કર્યો અને ન તો સમર્થન આપ્યું. ભાજપના નેતાઓના મનમાં શું ચાલી રહ્યું છે તે કળવું હાલ મુશ્કેલ જણાઈ આવી રહ્યું છે.