એક દિવસ પહેલા ગુજરાતમાં કોંગ્રેસના તમામ હોદ્દા પરથી રાજીનામું આપનાર પાર્ટીના દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડિયા ભાજપમાં જોડાયા છે. ગાંધીનગરમાં ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે મોઢવાડિયાએ પટકા પહેરાવ્યા હતા. મોઢવાડિયાની સાથે અમરેલી જિલ્લાના રાજુલાના ધારાસભ્ય રહેલા કોંગ્રેસના પૂર્વ નેતા અંબરીશ ડેર પણ ભાજપમાં જોડાયા હતા. બંને નેતાઓએ 4 માર્ચે કોંગ્રેસ છોડી દીધી હતી. અર્જુન મોઢવાડિયા 2022ની ચૂંટણીમાં પોરબંદરમાંથી ચૂંટાયા હતા. વિધાનસભાની સદસ્યતા છોડીને તેમણે કોંગ્રેસ સાથેનો 40 વર્ષનો નાતો તોડી નાખ્યો.
કોંગ્રેસના બંને નેતાઓ તેમના સમર્થકો સાથે ભાજપના પ્રદેશ કાર્યાલય પર પહોંચ્યા હતા. આ પછી ભારત માતા કી જય અને વંદે માતરમના નારા વચ્ચે અર્જુન મોઢવાડિયા અને અંબરીશ ડેર ભાજપમાં જોડાયા હતા. આ પહેલા ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે સૌનું સ્વાગત કર્યું હતું. સીઆર પાટીલે આ પ્રસંગે કહ્યું હતું કે તમે બધા પીએમ નરેન્દ્ર મોદીના વિકસિત ભારતના સંકલ્પને પૂર્ણ કરવા ભાજપમાં જોડાઈ રહ્યા છો. આ માટે હું તમારું સ્વાગત કરું છું.
અર્જુન મોઢવાડિયા ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા હતા. તેમણે 2004માં જ્યારે પીએમ મોદી મુખ્યમંત્રી હતા ત્યારે ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતાનું પદ સંભાળ્યું હતું. ગત વિધાનસભાની ચૂંટણીમાં મોઢવાડિયા પોરબંદરમાંથી ત્રીજી વખત જીત્યા હતા.
