રાજ્યના પ્રાથમિક શિક્ષણ વિભાગ તરફથી સ્કૂલોમાં વિદ્યાર્થીઓની હાજરી બાબતે એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. નવા પરિપત્ર પ્રમાણે હવે જો કોઈ વિદ્યાર્થી સતત 30 દિવસ સુધી ગેરહાજર રહેશે તો તેનું નામ કમી કરવામાં આવશે. એટલે કે ફક્ત હાજરીપત્રકમાંથી જ વિદ્યાર્થીનું નામ કમી થઈ જશે.
પરિપત્ર પ્રમાણે જો કોઈ વિદ્યાર્થી 21 દિવસ સુધી સતત ગેજહાજર રહેશે તો તેણે CRC (ક્લસ્ટર રિસોર્સ કોર્ડિનેટર)નો સંપર્ક કરવો પડશે. એટલું જ નહીં વિદ્યાર્થીના માતા-પિતાએ પણ સીઆરસીનો સંપર્ક કરવો પડશે. જો કોઈ 30 દિવસ સુધી ગેરહાજર રહેશે તો તેનું નામ કમી કરવામાં આવશે. જો કોઈ વિદ્યાર્થી સતત સાત દિવસ સુધી ગેરહાજર રહે છે તો વર્ગ શિક્ષકે તેના ઘરની મુલાકાત લેવાની રહેશે.
આ ઉપરાંત જો કોઈ વિદ્યાર્થી સતત ત્રણ દિવસ સુધી સ્કૂલમાં ગેરહાજર રહે છે તો શિક્ષકે તેના ક્લાસમેટ મારફતે ગેરહાજરીને કારણ અંગે તપાસ કરવાની રહેશે. જો બાળક સતત 10 દિવસ સુધી ગેરહાજર રહે તો સ્કૂલના મુખ્ય શિક્ષકે તેના ઘરની મુલાકાત લેવાની રહેશે. એટલું જ નહીં બાળકને સ્કૂલ ખાતે આવવા માટે પ્રોત્સાહિત કરવું પડશે.
જો કોઈ બાળક 15 દિવસ સુધી સ્કૂલમાં ગેરહાજર રહે છે તો શાળા સંચાલક સમિતિએ તેના ઘરની મુલાકાત લેઈને તેમના માતાપિતા કે વાલીને બાળકને સ્કૂલમાં મોકલવા માટે પ્રોત્સાહિત કરવાના રહેશે. જોકે, 30 દિવસની ગેરહાજરી બાદ પણ સ્કૂલના રજીસ્ટરમાં તેનું નામ ચાલુ રાખવું પડશે.
CRCએ પોતાના હેઠળ આવતી સ્કૂલો અંગેનો રિપોર્ટ દર મહિને BRC (બ્લોક રિસોર્સ ક્લસ્ટ) મારફતે જિલ્લા શિક્ષણ અધિકારીને મોકલવાનો રહેશે