Gopal Italia Visavadar Win: ગોપાલ ઈટાલિયાની 17,581 મતોથી ઐતિહાસિક જીત
Gopal Italia Visavadar Win: વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટી (AAP)ના ઉમેદવાર ગોપાલ ઈટાલિયાએ 17,581 મતની વિશાળ લીડ મેળવી વિજય હાંસલ કર્યો. આ જીત સાથે વિસાવદરમાં ભાજપ તથા કોંગ્રેસ બંનેનો પત્તો કાપી નાખ્યો છે. આખરી 21મા રાઉન્ડ સુધી AAP સતત મજબૂત સ્થિતિમાં રહી, જે પાર્ટીની તૈયારી અને દુરંદેશી રણનીતિનું પ્રમાણ છે.
AAP ની જંગી જીતના મુખ્ય કારણો
પહેલેથી જ ઉમેદવાર જાહેર કરવો: AAP એ વિસાવદર માટે ગોપાલ ઈટાલિયાનું નામ ઘણા મહિના પહેલા જાહેર કર્યું, જેના કારણે તેમને વિસ્તારના મતદારો સુધી પહોંચવાની તક મળી.
ચૂંટણીના ઔપચારિક એલાન પહેલાં જ કેમ્પેઇન: ગોપાલ ઈટાલિયાએ ચૂંટણી જાહેર થવાનાં ઘણાં પહેલાં જ તોફાની પ્રચાર શરુ કરી દીધો હતો, જેનાથી મતદારોમાં મજબૂત જોડાણ બન્યું.
ભાજપનો ઢીલો પ્રચાર: વિસાવદરમાં ભાજપનો પ્રચાર અન્ય વિસ્તારો જેવી અસરકારકતા બતાવી શક્યો નહીં, જેના કારણે AAP ને ફાયદો થયો.
જ્ઞાતિવાદી રાજકારણનો ત્યાગ: વિસાવદરના મતદારોએ જ્ઞાતિવાદ ઉપર ઉઠીને વિકાસવાદ અને મુદ્દાવાદ માટે મતદાન કર્યું.
ભાજપમાં આંતરિક વિખવાદ: ભાજપમાં વિસાવદર બેઠક માટે હર્ષદ રિબડીયા કે ભૂપત ભાયાણી જેવા જાણિતા નામોને ટિકિટ ન આપવામાં આવી, જે કાર્યકરોમાં નિરાશા પેદા કરી.
વિસાવદર પરિણામ પછી ભાજપમાં શાંતિ
વિસાવદરની હાર બાદ ભાજપ કાર્યાલય કમલમ ખાતે શાંતિ જોવા મળી. સામાન્ય રીતે જીત પર ઉજવણી કરતા કાર્યકરો પણ નિસ્તેજ દેખાયા. પક્ષ દ્વારા વિસાવદરની હાર માટે મથામણ કરવાની જાહેરાત કરવામાં આવી.
ભાજપનું નિવેદન: ‘લોકોએ જ્ઞાતિવાદ ઉપર ઉઠીને મતદાન કર્યું’
ભાજપના પ્રદેશ મહામંત્રી રજની પટેલે જણાવ્યું કે, “પેટાચૂંટણીમાં લોકોએ જ્ઞાતિવાદથી ઉપર ઉઠીને મતદાન કર્યું છે. દેશની સુરક્ષા માટે લોકોએ પીએમ મોદીનો સાથ આપ્યો છે. વિસાવદરના પરિણામોનું વિશ્લેષણ કરી લોકોથી સીધો સંવાદ કરશું.”
વિસાવદરમાં AAP નો ઉદય
વિસાવદર પેટાચૂંટણીમાં ગોપાલ ઈટાલિયાનું વિજય એ દર્શાવે કે લોકો નવા વિકલ્પ માટે તૈયાર છે. આમ આદમી પાર્ટી દ્વારા અપનાવાયેલી દુરંદેશી રણનીતિએ વિસાવદરનું રાજકીય સમીકરણ બદલી નાખ્યું છે, જયાં ભાજપ અને કોંગ્રેસ જેવી પરંપરાગત પાર્ટીઓએ પોતાનો પાયો ગુમાવ્યો.