કોરોના કાળને કારણે રાજ્યમાં સરકારી નોકરીઓ માટે ભરતી મોકુફ રાખવામાં આવી છે. જૂન સુધી જીપીએસસીની તમામ પરીક્ષાઓ રદ કરવામાં આવી હતી. અને આવતીકાલે ફરીથી નવી તારીખો જાહેર થવાની હતી. પણ ફરી એકવાર જીપીએસસીએ પરીક્ષા આયોજિત કરવાને લઈ અસમર્થતા દર્શાવતાં નવી તારીખોની જાહેરાત નહીં કરે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે.
કોરોના મહામારીને કારણે GPSC દ્વારા 22 માર્ચથી 30 જૂન સુધીમાં યોજાનારી તમામ પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવી હતી. ગત સમયે GPSC દ્વારા એવી જાહેરાત કરવામાં આવી હતી કે મોકૂફ રાખવામાં આવેલી પ્રાથમિક અને મુખ્ય પરીક્ષાની તારીખો નક્કી કરીને 20 જૂનના રોજ આયોગની વેબસાઈટ પર પ્રસિદ્ધ કરવામાં આવશે.
પણ આજે કોરોના સંક્રમણની હાલની પરિસ્થિતિ, વહીવટી તંત્રની કોરોના વાઈરસની આનુષાંગિક કામગીરીમાં વ્યસ્તતા, પુરતા સોશિયલ ડિસ્ટન્સિગ સાથે પરીક્ષા લઈ શકાય તે માટે પરીક્ષા કેન્દ્રો મળવામાં મુશ્કેલી તથા ઉમેદવારોને પડનારી મુશ્કેલી વગેરે ધ્યાનમાં રાખીને હાલ સુધારા સાથેનો પરીક્ષા કાર્યક્રમ જાહેર કરવામાં આવતો નથી. તેમજ આયોગે સુધારેલા પરીક્ષા કાર્યક્રમ માટે ઉમેદવારોએ આયોગની વેબસાઈટ જોતા રહેવા માટે વિનંતી કરી છે.