ગુજરાતમાં ચૂંટણી નજીક આવતાં જ પ્રચાર જોરશોરથી શરૂ થઈ ગયો છે. ભાજપ અને કોંગ્રેસ સહિત હવે આમ આદમી પાર્ટીએ પણ સક્રિય થઈને રાજકીય માહોલ ગરમ કરી દીધો છે. ભાજપે ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ગુજરાતના પાંચ નવનિયુક્ત મંત્રીઓને જવાબદારી સોંપી છે. આ મંત્રીઓ રાજ્યમાં જન આશીર્વાદ યાત્રા કરી રહ્યા છે, ત્યારે કોંગ્રેસ પણ ભાજપની આ યાત્રા સામે કોવિડ-19 ન્યાય યાત્રા શરૂ કરી રહી છે. કોંગ્રેસ દ્વારા તાલુકા, જિલ્લા, શહેર અને પ્રદેશ સ્તરે આવેદનપત્રો આપશે તેમજ શ્રદ્ધાંજલિ સભાઓ યોજાશે. કોરોના પીડિતોના મુદ્દે કોંગ્રેસ દ્વારા 4 લાખની સહાયની માગણી પણ કરવામાં આવશે.
કોંગ્રેસના કાર્યકર કોરોનામાં મૃતકનાં પરિવારજનોને મળશે
કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું હતું કે કોરોના મહામારીમાં સરકારની જવાબદારી હતી કે લોકોને સારવાર આપે અને જીવ બચાવે, પરંતુ આ ભાજપની સરકાર ઉજવણીઓ કરે છે. અમિત ચાવડાએ આક્ષેપ કર્યો હતો કે કોરોનાકાળમાં મૃત્યુ થયાં એ સરકારની બેદરકારીને કારણે થયાં. હવે કોરોના પીડિતોને ન્યાય મળે એ માટે આગામી 2 મહિના સુધી કોવિડ 19 ન્યાય યાત્રા યોજાશે. કોરોનામાં મૃત્યુ પામેલાઓનાં પરિવારજનને ચાર લાખ રૂપિયાના વળતરની માગ કરવામાં આવશે કોંગ્રેસના કાર્યકર મૃતકના પરિવારજનોને જઈને મળશે. કોંગ્રેસ સરકારની કોરોનાકાળમાં કરવામાં આવેલી કામગીરીને ખુલ્લી પાડશે.
કોંગ્રેસ દ્વારા ન્યાય અને સુરક્ષા અભિયાન શરૂ કરાયું
ગુજરાત વિધાનસભાના વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ સરકાર પર શાબ્દિક પ્રહાર કરતાં કહ્યું હતું કે સરકાર પાસે સમય હોવા છતાં થાળી અને વાટકી વગાડવામાં બગાડવામાં આવ્યો. ગુજરાતમાં બે લાખ જેટલા લોકોએ સારવાર અને સેવાના અભાવે જીવ ગુમાવ્યા છે. કોરોનાકાળમાં સામાન્ય માણસની બચત વેડફાઈ ગઈ અને ઘરેણાં પણ ગીરવી મૂકવા પડ્યાં છે. કોંગ્રેસ દ્વારા ન્યાય અને સુરક્ષા અભિયાન આજે શરૂ કરવામાં આવ્યું છે. કોંગ્રેસ દ્વારા રાજ્યનાં 18 હજાર ગામ,તાલુકા પંચાયત,વોર્ડ અને સેક્ટરદીઠ કોવિડ મેમોરિયલ બનાવશે.
ભાજપે જન આશીર્વાદ યાત્રા શરૂ કરી
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી નજીક છે ત્યારે 16 ઓગસ્ટ ને સોમવારથી PM મોદી સરકારના પાંચ મંત્રીઓ રાજ્યમાં 2,277 કિલોમીટરની જન આશીર્વાદ યાત્રા શરૂ કરી છે. પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાએ શનિવારે પ્રેસ-કોફરન્સમાં કહ્યું હતું કે છ દિવસની આ યાત્રામાં વિધાનસભાની 81 અને લોકસભાની 18 બેઠકોને આવરી લીધી છે. 21 ઓગસ્ટ સુધી યોજનારી યાત્રામાં 151 સ્થળ પર વિવિધ સમાજો અને સામાજિક સંસ્થાઓ દ્વારા પાંચે મંત્રીઓનું સન્માન થશે.