કોરોના સંક્રમણને અટકાવવા લોકોએ વર્તમાન પરિસ્થિતિને જાતે જ સમજવી પડશે. એટલે કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે તો અનલોક જાહેર કરી દીધું છે. પરંતુ હવે કોરોના પર કાબુ મેળવવા લોકો સ્વયંભૂ લોકડાઉન કરી રહ્યાં છે. જેમાં આજે રાજકોટ, ખેડબ્રહ્મા અને જૂનાગઢમાં લોકોએ સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કર્યું છે.
સ્વયંભૂ લોકડાઉનની જો વાત કરીએ તો સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં વેપારીઓએ સ્વંભૂ લોકડાઉનનો નિર્ણય કર્યો છે. વેપારીઓએ 14થી 21 સપ્ટેમ્બર સુધી બજારોને બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. રાજકોટના સોની બજારમાં પણ એક અઠવાડિયાનું સ્વયંભૂ લોકડાઉન રાખવામાં આવ્યું છે. તારીખ 19 સપ્ટેમ્બર સુધી રાજકોટનું સોની બજાર સંપૂર્ણ બંધ રહેશે. તો બીજી બાજુ જૂનાગઢના માણાવદરના કોયલાણા ઘેડ ખાતે પણ સ્વૈચ્છિક લોકડાઉન રાખવામાં આવ્યું છે.
જો કે, આવામાં જરૂરિયાતની ચીજવસ્તુઓ જેવાં કે દૂધ પાર્લર, મેડિકલ સ્ટોર, હોસ્પિટલ તેમજ સરકારી કચેરીઓ ખુલ્લી રહેશે. ખેડબ્રહ્માના લોકો એવું કહી રહ્યાં છે કે હવે બંધનો સમય આવી ગયો છે. આ કારણથી ખેડબ્રહ્મા નગરપાલિકા, વિવિધ વેપારી એસોસિયેશને આ નિર્ણય કર્યો છે તેમજ લારીઓવાળાઓએ પણ આ બંધને સમર્થન આપ્યું છે.