રાજ્યમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધીને 2624 પર પહોંચી ગઈ છે. ભારતમાં મહારાષ્ટ્ર પછી ગુજરાત દેશનું બીજી સૌથી વધુ કોરોનાગ્રસ્ત રાજ્ય બની ગયું છે. જો વાત માત્ર અમદાવાદની કરવામાં આવે તો, અહીં કોરોનાના પોઝિટિવ કેસો 1559 થઈ ગયા છે. જેમાં 63 લોકો કોરોનાના કારણે મોતને ભેટ્યા છે. બીજા લૉકડાઉનની જાહેરાત બાદ જ અમદાવાદના કોટ વિસ્તારમાં કરફ્યૂ લાગૂ છે. આમ છતાં શહેરમાં કોરોનાના કેસોમાં ઉછાળો આવ્યો છે, ખાસ કરીને શહેરના કોટ વિસ્તારમાં..
આ અંગે અમદાવાદ મ્યુન્સિપલ કમિશ્નર વિજય નેહરાએ જણાવ્યું કે, કોરોનાગ્રસ્ત વિસ્તારોમાં ખાસ કરીને જમાલપુર, દાણીલીમડા, બહેરામપુરા, શાહપુર, દરિયાપુર, ખાડિયા જેવા વિસ્તારો સામેલ છે. અમદાવાદના કોટ વિસ્તારમાં ઘણી ગીચતા છે. આથી અહીં કોરોના વાઈરસ ફેલાવાનું જોખમ ઘણું વધી જાય છે.