ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોના વાયરસે અજગર ભરડો લીધો છે અને બીજી તરફ ગાંધીનગર મનપાની ચૂંટણી પણ સામે આવી રહી છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી દરમિયાન રેલીઓમાં ભારે ભીડ ઉમટી હતી. ત્યાર બાદ ગુજરાતમાં કેસોમાં ધરખમ વધારો થતો રહ્યો છે. ત્યારે કોરોનાને ધ્યાનમાં રાખીને ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલે મહત્વનો નિર્ણય કર્યો છે. આજથી તમામ પક્ષ પોતાનું કેમ્પઈન શરૂ કરશે. જોકે, ભાજપે આ વખતે જાહેર રેલી તથા સંમેલનો ન કરવાનો નિર્ણય લીધો છે. કોરોનાના કહેર વચ્ચે યોજવા જઇ રહેલી ગાંધીનગર મનપાની ચૂંટણીએ રાજકીય પાર્ટીઓને ધર્મ સંકટ સમાન છે.
જોકે, ભાજપ દ્વારા સમગ્ર ચૂંટણીમાં ટોળા એકઠા ન થાય અને ભીડ ન થાય એ માટે જાહેર સભા સને સંમેલન ન કરવામો નિર્ણય લેવામાં આવ્યો છે. ચૂંટણી પ્રચારમાં ગ્રૂપ બેઠક, ગ્રૂપ મિટિંગ, ડોર ટૂ ડોર પ્રચાર પર ભાર મૂકવામાં આવ્યો છે. જોકે કોંગ્રેસ દ્વારા આ નિર્ણય સામે પ્રતિક્રિયા આપતા ભાજપ પ્રદેશ પ્રમુખ જ સુપર સ્પ્રેડર હોવાનું નિવેદન કરાયું હતું.
મહતવનું છે કે, કૉંગ્રેસના આક્ષેપની પ્રતિક્રિયા આપતા ભાજપે જણાવ્યું હતું કે, કૉંગ્રેસ પાસે આક્ષેપબાજી કરવા સિવાય બીજું કાંઈ નથી એટલે જ તે પોતાની જમીન ગુમાવી બેઠી છે. ભાજપ સતત લોકો વચ્ચે રહે છે અને લોકો માટે કાર્યરત રહે છે. ત્યારે જોવાનું એ છે કે, ભાજપ પોતાના નિર્ણય પર કેટલું મક્કમ રહે છે. સાથે જ જાહેર સભા અને સંમેલન વિના ભાજપને જીતવામાં કેટલી સફળતા મળે છે.
નોંધનીય છે કે, રાજ્યમાં શનિવારે કોરોના વાયરસના નવા 2815 કેસ નોંધાયા છે. જેની સામે 2063 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 ના કારણે 13 દર્દીના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4552 થયો છે. રાજ્યમાં સાજા થવાનો દર 94.03 ટકા છે. અત્યાર સુધીમાં 62,30,249 વ્યક્તિઓને કોરોના વેક્સીનનો પ્રથમ ડોઝ અને 7,64,347 વ્યક્તિઓને કોરોના વેક્સીનનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. આજે કુલ 4,88,568 વ્યક્તિઓનું રસીકરણ થયું છે.