ગુજરાત ચેમ્બર ઑફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પટ્ટાવાળાને ગઈકાલે કોરોના પોઝિટિવ આવતા આવતી કાલે ચેમ્બરના સ્ટાફના 45 જેટલા સભ્યના કોરોના ટેસ્ટ કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આજે ચેમ્બરને સેનેટાઈઝ કરાવવામાં આવી છે.
આ સાથે જ આગામી પાંચમી સપ્ટેમ્બરે યોજાનારી ગુજરાત ચેમ્બરની ચૂંટણી સામે પણ પ્રશ્નાર્થ લાગી ગયો છે. તેમાં જો આવતીકાલના કોરોના ટેસ્ટમાં એકાદ બે વધુ પોઝિટિવ કેસ આવી જશે તો તેવા સંજોગોમાં ચેમ્બરના સત્તાવાળાઓને ચૂંટણી રદ કરવાની ફરજ પડી શકે છે. ચેમ્બરમાં પટાવાળાને કોરોના પોઝિટિવ આવતા ફેલાઈ ગયેલા ફફડાટને પરિણામે ચેમ્બરના હોદ્દેદારો ફરક્યા જ નહોતા. તમણે ઝૂમ પર જ મિટિંગ કરી હતી.
બીજું, ગુજરાત ચેમ્બરમાં લોકલ એસોસિયેશનની કેટેગરીમાં ચૂંટણી લડી રહેલા મેઘરાજ ડોડવાણીના દીકરાને પણ કોરોના પોઝિટિવ આવ્યો છે. આ સંજોગોમાં ગુજરાત ચેમ્બરની ચૂંટણી યોજાય તો કોરોના સંક્રમણ વધી જવાની દહેશત રહેલી છે. પરિણામે કોરોનાનું સંક્રમણ વધતુ અટકાવવા પણ ગુજરાત ચેમ્બરના હોદ્દેદારોની ચૂંટણી યોજવા અંગે નવેસરથી વિચાર કરવો જોઈએ.
ગુજરાત ચેમ્બરને પાંચમી સપ્ટેમ્બરે ચૂંટણી યોજવાની મંજૂરી અમદાવાદના કલેક્ટરે આપી હતી, પરંતુ તેની સાથે જ શરત મૂકી હતી કે ચૂંટણી સમયે કોરોના સંક્રમણની સ્થિતિ કેવી છે અને પરિસ્થિતિ પ્રતિકૂળ જણાશે તો ચૂંટણી યોજવાની આપેલી મંજૂરી આપોઆપ જ રદ થયેલી ગણાશે. આ સ્થિતિમાં કલેક્ટર કચેરીને પણ ગુજરાત ચેમ્બરની ચૂંટણી યોજવા અંગે નવેસરથી નિર્ણય લેવાની ફરજ પડી શકે છે.