ગાંધીનગર- ગુજરાત સરકારમાં કરપ્શનના માત્રા વધારે છે તેવું સરકારી આંકડા સાબિત કરે છે ત્યારે પાંચ કે સાત હજાર લોકોને પૂછીને કરપ્શનની માત્રા નક્કી કરવી એ મૂર્ખામી છે. કેન્દ્રીય પ્રાઇવેટ સંસ્થાનો રિપોર્ટ જોઇને ગુજરાત સરકાર ખૂશ થાય છે પરંતુ હકીકતમાં રાજ્યમાં કરપ્શનની માત્રા એટલી બધી વધી ચૂકી છે કે રોજનો એક કેસ એન્ટી કરપ્શન બ્યુરોમાં નોંધાય છે. એટલે કે કોઇને કોઇ સરકારી કચેરીમાં લાંચ લેવાના કેસોની સંખ્યા વર્ષે 270ના આંકડાને ક્રોસ કરે છે.
રાજ્ય ગૃહ વિભાગના એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે રાજ્યમાં પાંચ વર્ષમાં 1127 અધિકારી તેમજ કર્મચારીઓને લાંચ લેવાના કેસમાં જેલની સજા થઇ છે. એનો મતલબ એ થયો કે આજે પણ ગુજરાત કરપ્શનમાં દેશના અગ્રીમ રાજ્યોમાં આવે છે. રાજ્યમાં સૌથી વધુ ભ્રષ્ટાચાર મહેસૂલ અને શહેરી વિકાસ જેવા વિભાગોમાં થાય છે કે જ્યાં જમીનના સોદા થતા હોય છે, જો કે પોલીસ વિભાગમાં બદલી અને વહીવટમાં મોટો ભ્રષ્ટાચાર થઇ રહ્યો છે. રાજ્યમાં સૌધી વધુ લાંચિયા અધિકારીઓ ગૃહ વિભાગમાં પકડાય છે. વિવિધ પોલીસ સ્ટેશનના આંકડા ચોંકાવનારા બહાર આવ્યા છે.
રાજ્યમાં પાંચ વર્ષમાં 1127 અધિકારીઓ તેમજ કર્મચારીઓ સામે કાર્યવાહી કરીને તેમની ધરપકડ કરવામાં આવી છે. આજેપણ એન્ટી કરપ્શન બ્યુરોમાં રોજની એક ફરિયાદ આવે છે. જો કે સરકારનો દાવો છે કે ચાર્જશીટ કરવાના કેસો છેલ્લા પાંચ વર્ષમાં ઘટી ગયા છે. રાજ્યમાં લાંચ લેવાના કેસોમાં સૌથી વધુ અધિકારીઓ અમદાવાદમાંથી પકડાયા છે. અમદાવાદની સંખ્યા 190 થાય છે. 2015ના એક જ વર્ષમાં સૌથી વધુ કર્મચારીઓ લાંચ લેતા પકડાયા છે. એટલે કે આનંદીબહેન પટેલની સરકાર સમયે મહેસૂલ અને શહેરી વિકાસ વિભાગમાં ઘૂમ ભ્રષ્ટાચાર ચાલતો હતો.
લાંચ લેવાના કેસોમાં પકડાયેલા અધિકારી તેમજ કર્મચારીઓમાં બીજાસ્થાને 120ના આંકડા સાથે વડોદરા અને 100ના આંકડા સાથે સુરત આવે છે. આશ્ચર્યની બાબત એવી છે કે બનાસકાંઠા અને રાજકોટમાં 75 કર્મચારીઓ લાંચ લેતાં પકડાયા છે. આ બન્ને જિલ્લાઓનો આંકડો એકસરખો છે. રાજ્યમાં ડાંગ સહિતના આદિવાસી જિલ્લા એવા છે કે જ્યાં લાંચ લેવાના ગુના ખૂબ ઓછા નોંધાયેલા છે. સૌથી વધુ ભ્રષ્ટાચાર બહાર આવ્યો હોય તેવા શહેરોમાં અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર અને જૂનાગઢ છે.
રાજ્યના પાટનગર ગાંધીનગરમાં 60 અધિકારીઓ લાંચ લેતા પકડાયા છે અને તેમની સામે એન્ટી કરપ્શન બ્યુરોએ કાર્યવાહી કરી છે. આ બ્યુરોના ઉચ્ચ અધિકારી એ કહ્યું હતું કે પાંચ વર્ષના સમયમાં ગુજરાતમાં બે મુખ્યમંત્રી આવી ગયા છે એટલે કે રાજ્યમાં વિજય રૂપાણીની સરકારમાં ભ્રષ્ટાચાર વધ્યો છે તેવું કહી શકાય નહીં, કેમ કે જે આંકડા બહાર આવ્યા છે તે 2014 થી 2018ના છે. છેલ્લા વર્ષ 2019માં ગૃહ વિભાગના લાંચ રૂશ્વત બ્યુરોએ લાંચ લેવાના 180થી વધુ કેસ પકડ્યા છે.
રાજ્યના વિઝિલન્સ કમિશનના આંકડા પરથી ફલિત થાય છે કે રાજ્યમાં સૌથી વધુ ભ્રષ્ટાચાર ગૃહ અને મહેસૂલ વિભાગમાં થાય છે. એ ઉપરાંત શહેરી વિકાસ વિભાગ, પંચાયત, શિક્ષણ અને આરોગ્ય વિભાગમાં પણ લાંચ લેવાના કેસો બન્યા છે. આ વિભાગોમાં અનેક ગેરરિતીઓ પકડાઇ છે. મહત્વની બાબત એવી છે કે રાજ્યમાં લોકાયુક્ત અને વિજીલન્સ કમિશનરની જગ્યાઓ છેલ્લા એક વર્ષથી ખાલી છે તેથી અત્યારે ભ્રષ્ટાચારના કેસો માટે માત્ર એન્ટી કરપ્શન બ્યુરો કાર્યરત છે. આ બન્ને સંસ્થાઓમાં સરકાર નવી નિયુક્તિ કરી શકી નથી.
પાંચ વર્ષમાં ધરપકડ કરવામાં આવેલા અધિકારી કે કર્મચારીઓ પૈકી 10 ટકાને સેવા નિવૃત્ત કરી દેવામાં આવ્યા છે. એટલે કે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આંકડા પરથી સાબિત થાય છે કે કુલ 934 કેસોમાં 1127 અધિકારી તેમજ કર્મચારીઓની ધરપકડ કરવામાં આવી છે જેમાં લાંચની રકમ 3.23 કરોડ રૂપિયા હતી. છોટાઉદેપુર જિલ્લામાં સૌથી ઓછી 1300 રૂપિયાની લાંચ લેતાં બે સરકારી અધિકારી પકડાયા હતા, જ્યારે મહિસાગર જિલ્લામાં એક અધિકારી 2000 રૂપિયાની લાંચ લેતા પકડાયા છે. લાંચ લેતા પકડાયેલા કેસોમાં મોટાભાગના ગૃહ અને મહેસૂલ વિભાગના છે.
ગુજરાતમાં લોકાયુક્ત એવી એવી સ્વતંત્ર સંસ્થા છે કે જે રાજ્યના મુખ્યમંત્રી, કેબિનેટના મંત્રીઓ, સરકારના વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ, બોર્ડ-કોર્પોરેશનના અધિકારીઓ તેમજ સરકારની વિવિધ સંસ્થાઓ તેમજ ગ્રાન્ટેડ સંસ્થાઓ, યુનિવર્સિટીના હોદ્દેદારો સામે તપાસ કરીને પગલાં લઇ શકે છે તેમ છતાં રાજ્યમાં લોકાયુક્તની નિયુક્તિ છેલ્લા એક વર્ષથી થઇ શકી નથી. રાજ્યના નવા વિજીલન્સ કમિશનર પણ નિયુક્ત થયા નથી. આ જગ્યા પણ ખાલી પડી છે.