ગાંધીનગર- વિશ્વના દેશો ક્લાયમેટ ચેન્જની વાતો કરી રહ્યાં છે ત્યારે યુએનના એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ગુજરાતના દરિયાકિનારા વિસ્તારો, દેશના મુંબઇ અને કોલક્તા જેવા મોટા શહેરોમાં દરિયાના પાણીની સપાટીમાં વધારો થતાં જમીનનું ધોવાણ થઇ રહ્યું છે જે ક્રમશ વસતીને ખાલી કરાવી શકે છે, કારણ કે પાણીનું લેવલ વધી રહ્યું છે.
રાજ્યના આઠ જિલ્લામાં દરિયાના પાણીના કારણે જમીનનું ધોવાણ થયું છે. જમીન ધોવાણ અંગે રાજ્યના બજેટમાં દર વર્ષે ફાળવણી કરવામાં આવતી હોય છે પરંતુ યોગ્ય પગલાંના અભાવે દરિયાના પાણી દરિયા કિનારાના વિસ્તારોમાં ઘૂસી રહ્યાં છે. સૌથી વધારે મુશ્કેલી નર્મદા નદીના કાંઠા વિસ્તારમાં થઇ છે. દરિયાના પાણી નર્મદા નદીમાં આવી રહ્યાં છે અને મીઠાના ઢગ ખડકાયા છે. નર્મદા બંધના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી છોડવામાં આવતું નથી તેથી દરિયાના પાણી અંદર આવી રહ્યાં છે. જો કે યુએનના રિપોર્ટમાં આ વિસ્તારનો કોઇ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.
ગુજરાતના સોમનાથ, દ્વારકા સહિત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જમીન વિસ્તારોમાં દરિયાના પાણી ઘૂસી રહ્યાં છે તેવા ભારત સરકારના એક અહેવાલ પછી યુનાઇટેડ નેશન્સના એન્વાયર્નમેન્ટ રિપોર્ટમાં એવો નિર્દેશ કરવામાં આવ્યો છે કે દરિયાની વધતી સપાટીને કારણે 2050 સુધીમાં ભારતના ચાર કરોડ લોકોના અસ્તિત્વ પર ખતરો મંડાશે, તેમણે તેમની રહેવાની જગ્યા શિફ્ટ કરવી પડશે.
દરિયાની વધતી સપાટીના કારણે દેશના બે મોટા શહેરો મુંબઇ અને કોલકત્તા પર આફત છે ત્યારે બીજા શહેરો પણ ઝપટમાં આવી શકે છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ક્લાયમેટ ચેન્જની સૌથી મોટી ખરાબ અસર પેસિફિક અને સાઉટ ઇસ્ટ એશિયામાં પડી છે. દરિયાની સપાટી વિશ્વના કુલ 10 દેશોને ગંભીર અસર કરી શકે છે. ભારતમાં ગુજરાતના તટવર્તી જિલ્લાઓમાં આગામી 10 વર્ષમાં હજારો હેક્ટર જમીન ગુમાવવી પડેશે તેવી દહેશત વ્યક્ત કરવામાં આવી છે.
ગુજરાતના અમરેલી જિલ્લાના રાજુલા તાલુકામાં આવેલા 6 હજારની વસ્તી ધરાવતા માણેકપુર અને ખત્રીવાડા ગામમાં દરિયાના પાણીના ડરથી 50 ટકા વસ્તીએ ગામ છોડી દીધું છે. યુએનના રિપોર્ટ પ્રમાણે ગ્લોબલ વોર્મિગને કારણે 1901 થી 2001 સુધીના એક સદીના સમયગાળામાં દરિયાની સપાટી એક મીટર વધી છે. જેની અસર ગુજરાતમાં દરિયા કિનારાના વિસ્તારમાં પણ વર્તાઇ છે.
ગુજરાતના 1640 કિ.મી દરિયા કિનારાની હલચલ વિશે ચેન્નાઇની ઇન્સ્ટિટયૂટ ઓફ ઓશન મેનેજમેન્ટ અને ભારત સરકારના પર્યાવરણ વિભાગના સર્વેક્ષણ પ્રમાણે ગુજરાતના 732 કિ.મી ના દરિયા કિનારા વિસ્તારમાં દરિયાના પાણી ગામ તરફ આગળ વધી રહ્યા છે. ગુજરાતના કચ્છ,જામનગર અને ભરૂચમાં ભયજનક રીતે દરિયો માનવવસ્તી તરફ આગળ વધી રહ્યો છે.
ઇન્સ્ટિટયૂટ ઓફ ઓશન મેનેજમેન્ટ રિપોર્ટ પ્રમાણે સૌરાષ્ટ્રના 8 જિલ્લાઓમાં દરિયો ઓછા-વત્તા પ્રમાણમાં આગળ વધી રહ્યો છે, જયારે જામનગર,અમરેલી, ગીર સોમનાથ, અને ભાવનગરમાં સૌથી વધારે નુકસાન થયું છે. જામનગર અને દ્વારકામાં અત્યાર સુધીમાં કુલ 90 કિ.મી સુધી દરિયો આગળ વધ્યો છે.
ગીર સોમનાથ અને જૂનાગઢમાં 100 કિ.મી, ભાવનગરમાં 60૦ કિ.મી અને અમરેલીમાં 30 કિ.મીના કિનારામાં અત્યાર સુધીમાં દરિયાના પાણી ફરી વળ્યા છે. દરિયાની આ સ્થિતિને કારણે ગામ ખાલી થવા લાગ્યા છે. રાજ્યના દરિયાકિનારાના વિસ્તારોમાં તો દરિયાના પાણીથી જમીનનું ધોવાણ અમર્યાદ છે. બીજી તરફ ઔધોગિકરણના લીધે પણ દરિયા કિનારાના ગામને મોટું નુકસાન પહોચી રહ્યું છે.