કોરોના વાઈરસના સંક્રમણને પગલે કરવામાં આવેલા લૉકડાઉનના કારણે છેલ્લા અઢી મહિનાથી રાજ્યની સ્કૂલો અને કૉલેજોમાં શિક્ષણ કાર્ય ઠપ્પ છે, ત્યારે હવે સ્કૂલો ક્યારથી ખુલશે? તેવો પ્રશ્ન વિદ્યાર્થીઓ અને વાલીઓને સતાવી રહ્યો છે. જો કે બુધવારે રાજ્યના શિક્ષણ વિભાગની બેઠકમાં નક્કી કરવામાં આવ્યું છે કે, જૂન મહિનામાં સ્કૂલો નહીં શરૂ કરવામાં આવે.
રાજ્યના શિક્ષણમંત્રી ભુપેન્દ્ર સિંહ ચુડાસમાની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં શાળાઓ ક્યારે શરૂ કરવી? તેના પર ચર્ચા કરવામાં આવી હતી. જે બાદ એવું નક્કી કરવામાં આવ્યું છે કે, રાજ્યમાં ધોરણ-1 થી 12 સુધીની સ્કૂલોને જૂન મહિનામાં શરૂ નહીં કરવામાં આવે. જો કે વિદ્યાર્થીઓનું શિક્ષણ ના બગડે તે માટે મોટો નિર્ણય લેવાયો છે. જેમાં શિક્ષકો ખુદ પુસ્તકો વિદ્યાર્થીઓના ઘર સુધી પહોંચાડશે. આ ઉપરાંત વિદ્યાર્થીઓને દૂરદર્શન જેવી ચેનલોના માધ્યમથી પણ ઓનલાઈન શિક્ષણ શરૂ કરવાનું આયોજન છે.