ગાંધીનગર- ગુજરાતમાં કોલ્ડસ્ટોરેજની અછત હોવા છતાં ખેડૂતો ફુલોની ખેતી તરફ વળ્યા છે. અત્યારે ફુલોનો વાવેતર વિસ્તાર વધીને 21000 હેક્ટર થયો છે જે 2008-09માં 11000 હેક્ટર હતો. રાજ્યમાં જો કોલ્ડસ્ટોરેજ અને ગ્રીનહાઉસ બનાવવાનો ખર્ચ ઓછો થાય તો રાજ્યમાં ફુલો માટેનું વાતાવરણ સારૂં છે. રોકડિયો પાક હોવાથી ખેડૂતો ધીમે ધીમે ફુલોની ખેતી તરફ વળી શકે છે.
રાજ્યમાં ગ્રીનહાઉસના કારણે ફુલોનું ઉત્પાદન વધ્યું છે. કટ ફ્લાવરના માર્કેટને પણ મોટું બુસ્ટઅપ મળ્યું છે. છેલ્લા 10 વર્ષમાં ફુલોના ઉત્પાદનમાં 100 ટકાનો વધારો નોંધાયો છે. ફુલોમાં સૌથી મોટું બજાર ગુલાબ, મેરીગોલ્ડ, મોગરા અને લીલીનું છે. ખેડૂતો ગુલાબની ખેતીમાં પાછળ પડતાં જાય છે. નિકાસ કરવાના ટાંચા સાધનો હોવાથી માત્ર સ્થાનિક જરૂરિયાત પ્રમાણે જ ખેતરોમાં વાવેતર કરે છે. પણ સૌથી મોટી વાત એ છે કે 78 ટકા વાવેતર વધ્યું છે જેની સામે હેક્ટર દીઠ ઉત્પાદકતાં વધી હોવાથી ઉત્પાદન 130 ટકા વધ્યું છે.
ગુજરાતમાં બે લાખ ટન ફૂલ થવા લાગ્યા છે. રાજ્યમાં 10 વર્ષ પહેલાં 85000 મેટ્રીકટન ફુલોનું ઉત્પાદન થતું હતું જે 2018-19ના વર્ષમાં વધીને 2 લાખ મેટ્રીકટન થયું છે. ગુલાબના બગીચા કરતાં મેરીગોલ્ડના બગીચાઓ વધી રહ્યાં છે. મોગરાનું વાવેતર ઓછું વધ્યું છે પરંતુ લીલીના વાવેતર અને ઉત્પાદનમાં જંગી વધારો થયો છે. ખેડૂતોને સુંદર ગુલાબના ઉત્પાદનમાં ઓછો રસ છે કારણ કે ગુલાબની ખેતીમાં ખર્ચ વધુ થાય છે.
ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના ખેડૂતો ફૂલોમાં ઓછો રસ બતાવી રહ્યાં છે. આ વિસ્તારમાં મોટાભાગે સ્થાનિક જરૂરીયાત માટે ફુલો ઉગાડવામાં આવે છે. જો કે રાજકોટમાં ઈન્ટરનેશનલ હવાઈ મથક શરૂં થઈ જતાં ફૂલોની ખેતી વધવાની શક્યતા છે. મધ્ય ગુજરાતમાં ફુલોનું સારું ઉત્પાદન થાય છે, કારણ કે અમદાવાદ હવાઇ મથકેથી તેની નિકાસ થઈ રહી છે. જો સરકાર સુવિધા વધારે તો નિકાસ વધી શકે તેમ છે. બે લાખ ટન ફૂલોના ઉત્પાદનમાં એક લાખ ટન તો મધ્ય ગુજરાતમાં થાય છે. સૌથી વધું ફુલોમાં રસ ધરાવતાં હોય એવા જિલ્લાઓમાં નવસારી, આણંદ, વલસાડ, વડોદરા, અમદાવાદ છે.
ખેડૂતો જો ગ્રીન હાઉસની ફૂલોની ખેતી અપનાવવા લાગ્યા છે તેથી ક્વોલીટી ફૂલનું ઉત્પાદન મળવા લાગ્યું છે. ફૂલોમાં સ્થાનિક માંગની સાથે વિદેશમાં સારી એવી માંગ છે. જે ફુલો ગ્રીન હાઉસમાં ઉગાડેલા હોય આંતરરાષ્ટ્રીય ધોરણે તેની ગુણવત્તા અને ક્વોલીટી સારી મળતી હોવાથી વિદેશમાં માંગ સારી રહે છે.
ગ્રીન હાઉસ ખેતીમાં ખૂબજ ઉચી ગુણવતાવાળા ગુલાબ, જર્બેરા, કાર્નેશન ગ્લેડીયોલસ, ઓર્કીડ, એન્યુરીયમ, જીપ્સોફીલા વગેરે જાતોના ફુલો તૈયાર કરી આંતરરાષ્ટ્રિય બજારમાં નિકાસ કરવામાં આવે છે. યુ.એચ.એ. 27%, નેધરલેંડ 14%, જાપાન 13%, જર્મની 6% ફૂલોની નિકાસ થાય છે. ફૂલછોડની જુદી જુદી પેદાશો પૈકી સુકવેલા ફુલોની નિકાસમાં ભારતનું સ્થાન ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા પછી ત્રીજા નંબરે આવે છે.