કોરોના સંક્રમિતોની સારવાર પછી ડાયાબિટીસના દર્દીઓની સંખ્યા વધવાનો ભય ડોક્ટરોને સતાવી રહ્યો છે. જે લોકો ડાયાબિટીસથી દૂર છે તેવા લોકોને પણ ડાયાબિટીસની દવા કાયમી લેવી પડે તેવી સ્થિતિ સર્જાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આરોગ્ય વિભાગના એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે કોરોના સારવાર પછી સાજા થયેલા દર્દીઓએ સપ્તાહમાં એક વખત બ્લડ સ્યુગરનો ટેસ્ટ કરાવવો પડે છે જેમાં ઘણાં દર્દીઓને સાજા થયા પછી બ્લડમાં સ્યુગરનું પ્રમાણ વધ્યું હોવાનું જણાયું છે. આમ થવાનું કારણ કોરોના સારવારમાં વપરાતી દવાઓ છે. ખાસ કરીને સ્ટિરોઇડ અને રેમડેસિવિરના કારણે બ્લડમાં સ્યુગરનું પ્રમાણ વધે છે. કોરોના સારવાર પછી જ્યારે સાજા થઇને ઘરે જતા દર્દીઓએ નિયમિત રીતે બ્લડ સ્યુગર ચેક કરાવવું જરૂરી છે, કારણ કે ડાયાબિટીસ એ શરીરનો છૂપો દુશ્મન છે અને તે શરીરના આંખ, કિડની અને હ્રદય સહિતના અન્ય અંગોને નુકશાન કરી શકે છે. રેમડેસિવિરનો ડોઝ લીધા પછી દર્દીઓ બીજી માંદગીમાં સપડાઇ શકે છે. વારંવાર સીટી સ્કેન કરાવવું એટલે શરીરમાં ગંભીર રોગને આમંત્રણ આપવા જેવું છે. સીટી સ્કેનથી કેન્સર ડેવલપ થઇ શકે છે,જરૂર ન હોય તો કોરોના દર્દીને રેમડેસિવિર આપવું ન જોઇએ. એ ઉપરાંત વારંવાર દર્દીનું સીટીસ્કેન પણ કરવું ન જોઇએ. એક તબીબી અભ્યાસમાં જણાયું છે કે જે દર્દીઓએ રેમડેસિવર કે સ્ટિરોઇડ લીધી છે તેમનું બ્લડ સ્યુગર 300 થી 400 થયું હોવાનું જણાયું છે. જો કે મોટાભાગના દર્દીઓને આ લેવલ ટેમ્પરરી હોય છે તેમ છતાં તેનું નિયમિત ચેકીંગ કરવું જરૂરી છે. આ માટે દર્દીઓએ સાજા થયા પછી પણ બ્લડ સ્યુગરનો ટેસ્ટ કરાવવો પડતો હોય છે. રેમડેસિવિર અને સ્ટિરોઇડના કારણે સ્યુગર લેવલ વધી જાય છે.