Gujarat: કરચોરી અંગે પોલીસને FIR દાખલ કરવાની સત્તા ખરી?
Gujarat: હાઇકોર્ટે રાજ્ય સરકાર સહિતના પ્રતિવાદીને નોટિસ પાઠવી
Gujarat: કથિત કરચોરીના સંબંધમાં દાખલ કરવામાં આવેલી છેતરપિંડી એફઆઈઆરને રદ કરવાની માગ કરતી એક વ્યક્તિની અરજીની સુનાવણી કરતી વખતે હાઈકોર્ટે મૌખિક રીતે રાજ્યને પૂછ્યું કે શું પોલીસ કરચોરી માટે એફઆઈઆર દાખલ કરી શકે છે? અથવા આવક વેરા વિભાગ આવી કાર્યવાહી શરૂ કરવા માટે યોગ્ય સત્તા છે? હાઈકોર્ટે ત્યારપછી અરજદાર સામે કોઇ આકરી કાર્યવાહી નહીં કરવાનો વચગાળાનો આદેશ કર્યો હતો. અરજદારે દાવો કર્યો હતો કે આવકવેરા વિભાગે તેની સામે કાર્યવાહી શરૂ કરી દીધી હતી, ત્યારે પોલીસ કરચોરી બદલ એફઆઈઆર નોંધી શકે નહીં.
આ મામલે અરજદાર રોનકસિંહ ગોહિલની અરજી પર સુનાવણી દરમિયાન
Gujarat : હાઇકોર્ટે ઉક્ત સવાલ કર્યો હતો. અરજદાર અગાઉ સંબંધિત સમયે યુવા જન જાગૃતિ પાર્ટીના પ્રમુખ હતા, જેમણે IPCની ધારા 409, 420, 465, 467,468, 471, 120B અને 34 સહિતની વિવિધ જોગવાઈઓ હેઠળ નોંધાયેલી એફઆઈઆરને રદ કરવાની માગણી કરી છે.
પક્ષકારો તરફથી થયેલી રજૂઆતને ધ્યાને લેતાં જસ્ટિસ નિર્ઝર દેસાઇએ પ્રતિવાદીઓને નોટિસ પાઠવી છે અને કેસની વધુ સુનાવણી ૨૭મી નવેમ્બરના રોજ મુકરર કરી છે. સાથે જ આદેશમાં નોંધ્યું છે કે આ મામલે ભલે તપાસ ચાલુ રહે પરંતુ અરજદારની સામે કોઇ આકરી કાર્યવાહી કરવાની રહેશે નહીં.
અરજદાર તરફથી ઉપસ્થિત સિનિયર એડવોકેટ દ્વારા એવી દલીલ કરવામાં આવી હતી કે
અરજદાર કથિત કરચોરી માટે ઇન્કમ ટેક્સ એક્ટ હેઠળની કાર્યવાહીનો સામનો કરી રહ્યા છે. જોકે ઇન્કમટેક્સ વિભાગ દ્વારા આ મામલો કોઇ ફરિયાદ દાખલ કરવામાં આવી નથી. વધુમાં એવી દલીલ પણ કરી હતી કે આવા મામલામાં માત્રને માત્ર ઇન્કમટેક્સ વિભાગને જ કાર્યવાહી કરવાની સત્તા છે અને ફરિયાદનો અધિકાર ક્ષેત્ર પણ તેમનું જ છે. તેથી આ મામલે ફરિયાદ કરવાની પોલીસ વિભાગની કોઇ પણ સત્તા રહેતી નથી. તેથી આ ફરિયાદ અર્થહીન અને સત્તાની બહારનો વિષય છે.
હાઇકોર્ટે આદેશમાં નોંધ્યું હતું કે આ કેસમાં રાજ્ય સરકાર એકપણ વાર એ જણાવી શકી નથી કે કાયદાની કઇ જોગવાઇ કે સત્તા હેઠળ આ ફરિયાદ પોલીસ દ્વારા નોંધવામાં આવી, ખાસ કરીને જ્યારે ઇન્કમ ટેક્સ વિભાગે પહેલાથી જ અરજદાર સામે કાર્યવાહી હાથ ધરી હોય.
ઉક્ત તમામ સંજોગોને જોતાં હાઇકોર્ટે રાજ્ય સરકાર સહિતના પ્રતિવાદીને નોટિસ પાઠવી છે અને કેસની સુનાવણી ૨૭મી નવેમ્બરના રોજ મુકરર કરી છે. સાથે જ અરજદાર સામે આકરી કાર્યવાહી નહીં કરવાના આદેશ પણ કર્યો છે.