ગાંધીનગર- કેન્દ્ર સરકાર ધીમે ધીમે ગુજરાત સરકારને કેન્દ્રીય આવકનો હિસ્સો ઘટાડતી જાય છે. કેન્દ્ર ગુજરાતને થપ્પડ મારી રહી છે પરંતુ ક્યાં અને કેવી રીતે મારે છે તે હાલના નાણાકીય આંકડા દર્શાવે છે. ખુદ સરકારની સત્તાવાર માહિતી પ્રમાણે રાજ્યની મહેસૂલી આવકનો હિસ્સો આગામી વર્ષના અંતે વધીને 76 ટકા થશે જેની સામે કેન્દ્રની આવકનો ફાળો માત્ર 24 ટકા રહેશે.
નાણા વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે આગામી વર્ષમાં રાજ્યની કુલ મહેસૂલી આવકોમાં વધારો થશે જ્યારે કેન્દ્રના કરવેરા અને સહાયક અનુદાનમાં ઘટાડો થશે. રાજયની મહેસૂલી આવકોમાં રાજયના પોતાના કરવેરા અને બિન-કરવેરાની આવકો સાથે કેન્દ્રીય કરવેરામાં હિસ્સો અને કેન્દ્રીય સરકારની વિવિધ યોજનાઓના અમલીકરણ માટે સહાયક રકમોનો સમાવેશ થાય છે.
રાજ્યમાં 2013-14 થી 2019-20 સુધીના નાણાકીય વર્,ના આંકડા પ્રમાણે રાજ્યની કુલ મહેસૂલી આવકોમાં કેન્દ્ર તરફથી રાજ્યને મળતી સહાય તેમજ કરવેરાના હિસ્સાની રકમ આંકડાકીય રીતે વધી રહી છે પરંતુ તેની ટકાવારી ધીમી ગતિએ વધે છે. બીજા શબ્દોમાં કહીએ તો ગુજરાત કેન્દ્રને ઘણું આપે છે પરંતુ કેન્દ્ર ગુજરાતને માત્ર સમુદ્રમાંથી એક લોટો પાણી ભરાય તેટલું આપે છે.
પાંચ વર્ષ પહેલાં રાજ્યની કુલ મહેસૂલી આવકોની ટકાવારી 79 ટકા હતી જે ઘટીને 73 ટકા થઇ છે તેથી રાજ્ય તેની ખુદની આવક વધારવાનો પ્રયાસ કરે તેવી શક્યતા છે. બીજી તરફ ટકાવારીની દ્રષ્ટીએ જોઇએ તો પાંચ વર્ષમાં કેન્દ્ર તરફથી મળતી નાણાકીય રકમનો રાજ્યની મહેસૂલી પ્રાપ્તિનો હિસ્સો 21 ટકાથી વધીને 27 ટકા જરૂર થયો છે પરંતુ સહાયક અનુદાનની રકમ આગામી વર્ષે ઘટી રહી છે.
2015 પછી, 14માં નાણાપંચની ભલામણેના કારણે રાજયોને અપાતા કેન્દ્રીય કરવેરાના હિસ્સામાં વધારો કરવાથી રાજયની મહેસૂલી આવકમાં કેન્દ્રના હિસ્સાની ટકાવારીમાં વધારો જોવા મળે છે તેથી રાજ્યએ પણ પોતાની મહેસૂલી આવક વધારવા માટે વધુ પ્રયત્ન કરવા જોઇએ.
આ આવકમાં વેટ અને અન્ય કરવેરા જે વિવાદીત અને બિન-વિવાદીત રકમના નાણા જે ઇસમોથી વસૂલાત કરવાના થાય છે, તેવી વસુલાત કરવી જોઇએ.રાજય સરકારે આવકો વધારવા માટે વિવાદીત અને બિન-વિવાદીત 42932.59 કરોડ રૂપિયાની રકમ વસૂલ કરવી જોઇએ.