Gujarat IAS officers deputation: દિલ્હી ડેપ્યુટેશન માટે પસંદ થયેલા ચાર અધિકારીઓ
Gujarat IAS officers deputation: ગુજરાત કેડરના ચાર સિનિયર IAS અધિકારીઓને કેન્દ્રીય સરકારમાં મહત્વપૂર્ણ ભૂમિકાઓ માટે પસંદ કરવામાં આવ્યા છે. સંયુક્ત સચિવ પદ માટે દિલ્હીમાં પોસ્ટિંગ કરવામાં આવેલા આ અધિકારીઓએ પહેલેથીજ ડેપ્યુટેશન માટે અરજી કરી હતી અને હવે તેઓ વિવિધ મંત્રાલયોમાં મહત્વપૂર્ણ જવાબદારીઓ સંભાળશે.
કુલ ૭ અધિકારીઓમાંથી ૪ની પસંદગી થઈ છે, જેમણે હવે દિલ્હી ખાતે નવી નિમણૂક મેળવી છે. આ નિર્ણય આજે કેન્દ્ર સરકારે જાહેર કરેલા ૪૧ IAS અધિકારીઓના ટ્રાન્સફર અને પોસ્ટિંગ લિસ્ટમાં સમાવેશ પામ્યો છે.
આ ચાર અધિકારીઓ વિશે વિગતવાર જાણો:
મનીષા ચંદ્રા (IAS GJ:2004) – સંરક્ષણ ઉત્પાદન વિભાગમાં સંયુક્ત સચિવ તરીકે નિયુક્ત. તેઓ પાંચ વર્ષની મુદત માટે આ પદ સંભાળશે અથવા નવા આદેશો મળ્યા સુધી જવાબદારી પર રહેશે.
સાંઇ છાકછુક (IAS GJ:2008) – ગૃહ મંત્રાલય હેઠળ NHRC સાથે સંકળાયેલ પદ પર સંયુક્ત સચિવ તરીકે નિયુક્તિ. તેમનો કાર્યકાળ પણ પાંચ વર્ષનો રહેશે.
કૃષ્ણકુમાર નિરાલા (IAS GJ:2005) – માહિતી અને પ્રસારણ મંત્રાલયમાં સંયુક્ત સચિવ તરીકે મહત્વપૂર્ણ પદ મળ્યું છે.
સુપ્રીત સિંહ ગુલાટી (IAS GJ:1999) – આંકડાશાસ્ત્ર અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલયમાં સંયુક્ત સચિવ તરીકે નિયુક્તિ મળી છે.
દિલ્હીમાં આ નિયુક્તિથી જોડાયેલી એક રસપ્રદ બાબત એ છે કે મનીષા ચંદ્રા અને કૃષ્ણકુમાર નિરાલા, તેમજ સાંઇ છાકછુક અને સુપ્રીત ગુલાટી – બંને દંપતિ છે. એટલે કે, બંને પતિ-પત્નીઓને એકસાથે દિલ્હી પોસ્ટિંગ મળ્યું છે, જે તેમના વ્યાવસાયિક અને વ્યક્તિગત જીવન માટે મહત્વપૂર્ણ સુવિધા બની રહેશે.
હવે આ અધિકારીઓની જગ્યાઓ રાજ્યમાં ખાલી પડતા, ગુજરાત સરકાર દ્વારા નવું ચાર્જ સોંપવાની પ્રક્રિયા શરૂ થશે.