અયોધ્યામાં ભવ્ય રામમંદિર નિર્માણ માટે વડાપ્રધાનની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાવાનો છે ત્યારે ગુજરાત રાજ્ય પોલીસને હાઇ એલર્ટ પર મુકાઈ છે. અયોધ્યામાં રામમંદિર નિર્માણ માટે બુધવારે થઈ રહેલા ભૂમિપૂજન મામલે રાજ્યના ડીજીપી આશિષ ભાટિયાએ શહેર સહિત સમગ્ર રાજ્યમાં હાઇ એલર્ટ જાહેર કરી દીધું છે. બીજી તરફ સ્ટેટ આઈબી અને સેન્ટ્રલ આઇબી પણ એલર્ટ થઈ ગઈ છે રાજ્યમાં થતાં નાનામાં નાના કાર્યક્રમો સહિત મૂવમેન્ટની માહિતી પણ સેન્ટ્રલ આઈબી સુધી એજન્સીઓને મોકલવા આદેશ કરાયા છે. જોકે શહેરમાં અનેક સ્થળો પર રામ ભક્તો દ્વારા વિવિધ કાર્યક્રમો અને ઉજવણીઓ થવાની છે તેના પર પણ સતત વોચ રાખવા પોલીસને આદેશ કરાયા છે.
આ અંગે શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, શહેર પોલીસ સવારથી સ્ટેન્ડ ટુ રહેશે, બંદોબસ્ત, પેટ્રોલિંગ, નાકા પોઇન્ટ, શહેરમાં અનેક સ્થળોએ ચેકીંગ પણ રહેશે.