ગાંધીનગર– ગુજરાત સરકારે કોરોના વાયરસનું સંક્રમણ ફેલાય નહીં તે માટે લોકડાઉનનો ચુસ્ત અમલ કરવા માટે મુસ્લિમ ટ્રસ્ટને પણ આદેશ આપ્યાં છે. રાજ્ય વકફ બોર્ડના ટ્રસ્ટીઓ તેમજ સંસ્થાઓ અને સામાજીક તેમજ શૈક્ષણિક સંસ્થાઓને રાજ્ય સરકારે અપીલ કરી છે.
રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીના માર્ગદર્શન હેઠળ પોલીસ અને આરોગ્ય વિભાગને લોકડાઉન માટે કેટલાક કડક આદેશ આપવામાં આવ્યા છે. રાજય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા લોક ડાઉનના સમયમાં અગત્યના કામ સિવાય ઘરની બહાર ન નીકળવા અને અન્ય ને પણ ઘરની બહાર ન નીકળવા દેવા તેમજ આપવામાં આવતી દરેક સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવા 100 ટ્રસ્ટીઓ અને મુતવલ્લીઓને ગુજરાત રાજ્ય વકફ બોર્ડના અધ્યક્ષ અને સમગ્ર સદસ્યો દ્વારા વિનંતી કરવામાં આવી છે.
ભારત સહિત ગુજરાત પણ લોકડાઉન છે ત્યારે મુસ્લિમ સંસ્થાઓને રાજ્ય વકફ બોર્ડ દ્વારા ચેતવણી આપવામાં આવી છે અને સરકારના આદેશનું પાલન કરવા કહેવાયું છે. લધુમતિઓની શૈક્ષણિક તેમજ સામાજીક સંસ્થાઓને ગરીબ તેમજ નિરાધાર લોકો માટે આગળ આવવાની પણ અપીલ કરવામાં આવી છે.