ગાંધીનગર- ગુજરાતમાં સરકારી પ્રાથમિક સ્કૂલોની ગુણવત્તા સુધરી હોવાનો દાવો રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ કર્યો છે. તેમણે કહ્યું છે કે છેલ્લા પાંચ વર્ષમાં ખાનગી સ્કૂલો છોડીને 3 લાખ જેટલા વિદ્યાર્થીઓએ સરકારી સ્કૂલોમાં એડમિશન લીધું છે. હવે તો એડમિશન માટે વેઇટીંગ લિસ્ટ બનાવવું પડે છે.
શિક્ષિત યુવાનોને જે તે ક્ષેત્રમાં રોજગારી મળે તે માટે શિક્ષણ વિભાગ દ્ધારા જિલ્લા દીઠ જોબ પ્લેસમેન્ટ ફેરનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ઉદીશા પ્લેસમેન્ટ પ્રોજેકટ હેઠળ 3.62 કરોડની જોગવાઈ કરવામાં આવી હતી. વર્ષ 2019-20ના પ્લેસમેન્ટ કેમ્પ દ્ધારા 17148 વિદ્યાર્થીઓ અને પ્રી-પ્લેસમેન્ટ ઘ્વારા 2936 સાથે કુલ 20084 વિદ્યાર્થીઓને રોજગારીની તકો પ્રાપ્ત થઈ છે, જેમને વધુમાં વધુ વાર્ષિક નવ લાખ અને ઓછામાં ઓછી વાર્ષિક 96000ની સેલેરી આપવામાં આવશે.
તેમણે કહ્યું કે સ્કૂલોમાં બાળકોને વાંચતા, લખતા અને ગણવા આવડે તે માટે સરકારે સંકલ્પ કર્યો છે. શિક્ષણમાં ગુણાત્મક સુધારાના પ્રયાસો થતાં પરફોર્મન્સ ગ્રેડીંગ ઇન્ડેક્ષ્ટમાં ગુજરાત દેશમાં પ્રથમક્રમે આવ્યું છે. શિક્ષણમંત્રીએ દાવો કર્યો હતો કે સરકારી સ્કૂલોમાં એડમિશન લેવા માટે વેઇટીંગ લિસ્ટ બનાવવું પડે છે.
રાજ્યની તમામ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોના 1.14 કરોડ બાળકો અને 3.99 લાખ શિક્ષકોની દૈનિક ઓનલાઇન હાજરી પૂરવામાં આવે છે જેના કારણે વિદ્યાર્થીઓ અને શિક્ષકોની નિયમિતતામાં વધારો થયો છે. આમ છતાં સતત ગેરહાજર રહેતા 115 જેટલા શિક્ષકોને ફરજમાંથી દૂર કરવામાં આવ્યા છે.
આ પઘ્ધતિને વધુ મજબુત કરવા બાયોમેટ્રીક સિસ્ટમ અથવા ફેસ રેકર્ડનાઈઝેશન પઘ્ધતિ અમલમાં મૂકવામાં આવશે. વિદ્યાર્થીઓ માટે નિદાન કસોટી, એકમ કસોટી, સંત્રાત કસોટી, વાર્ષિક કસોટીમાં વિદ્યાર્થીઓએ પ્રાપ્ત કરેલ ગુણની વિદ્યાર્થીવાર, પ્રશ્નવાર ડેટા એન્ટ્રી પણ કરવામાં આવે છે અને તેના કારણે વિદ્યાર્થીની કઇ બાબતમાં કચાસ છે તે શોધીને તેનો ઉપચાર પણ કરવામાં આવે છે. આ વ્યવસ્થાના કારણે વિદ્યાર્થી જે તે ધોરણના ચોકકસ લર્નિગ આઉટકમ પ્રાપ્ત કરે છે.
ચુડાસમાએ જણાવ્યું હતું કે, શિક્ષણમાં પર્ફામન્સ ગ્રેડીંગ ઈન્ડેક્ષ (પી.જી.આઈ.)માં કુલ 1000માં થી 870 ક્રમ સાથે ગુજરાતે બીજુ સ્થાન પ્રાપ્ત કર્યુ છે. પ્રથમ સ્થાન કેન્દ્રશાસિત પ્રદેશ ચંડીગઢને 896 ક્રમ સાથે મળ્યું છે. પ્રાથમિક અને માઘ્યમિક શિક્ષણને ગુણવત્તાયૂકત બનાવવા ગુજરાત સ્કુલ કવોલીટી એક્રીડીટેશન કાઉન્સીલને પણ અમલી બનાવવામાં આવી છે. મોબાઈલથી કયુઆર કોડસ સ્કેન કરવાથી તેની સાથે જોડાયેલું ઈ-કન્ટેન્ટ જેમ કે ઓડિયો-વિડીયો, એનીમેશન કે ઈન્ટર એકટીવ ફાઈલ મોબાઈલ સ્ક્રીન ઉપર જોઈ શકાય છે તેના પરિણામે વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે જે તે વસ્તુનું ચિત્રણ સરળ બની જાય છે.