સ્કૂલ ફી અંગેના ગુજરાત સરકારના પરિપત્રનો છેદ ઉડાડી ગુજરાત હાઇકોર્ટ દ્વારા આજે વિધીવત રીતે ચૂકાદો આપી ખાનગી સ્કૂલોને ટયુશન ફી લેવાની મંજૂરી આપી છે અને શાળાઓ વિધિવત શરૂ ન થાય ત્યાં સુધી સંચાલકોને કોઈ પણ પ્રકારની ફી ન ઉધરાવવા માટે તાકીદ કરવામાં આવી છે. ઉપરાંત એવી પણ ટકોર કરી છે શૈક્ષણિક કાર્ય વિધિવત શરૂ ન થાય ત્યાં સુધી ખાનગી સ્કૂલોએ ટયુશન સિવાયની કોઇપણ અન્ય એક્ટીવીટી માટેનો ચાર્જ ન કરવો જોઇએ. શહેરની 1200 થી વધારે ખાનગી શાળાઓમાં ઓનલાઈન શિક્ષણ રાબેતા મુજબ શરૂ રહેશે
વાલીઓને ટ્યુશન ફી નિયમિત રીતે ભરવા માટે આદેશ કરાયા
હાઈકોર્ટ દ્વારા આપવામાં આવેવા ચૂકાદા પ્રમાણે સ્વનિર્ભર શાળાઓ વાલીઓ પાસેથી હાલ ટ્યુશન ફી ઉધરાવી શકશે. આ સિવાય શાળાઓએ જ્હાયાં સુધી વિધિસર શૈક્ષણિક કાર્ય શરૂ ન થાય ત્યાં સુધી કોઈ પણ પ્રકારની અન્ય ફી ઉધરાવવાની રહેશે નહીં. શાળાઓ દ્વારા વાલીઓેને ત્રિમાસિક કે માસિક ટ્યુશન ફી ભરવાની વ્યવસ્થા શાળા દ્વારા કરવાની રહેશે. વાલીઓને નિયમિત રીતે ટ્યુશન ફી ભરવાની તાકીદ કરવામાં આવી છે કારણકે ટ્યુશન ફી માંથી જ શિક્ષકોનો પગાર કરવામાં આવશે.
શાળાઓએ બાળકોના શિક્ષણ માટે ફરજીયાત પણે ઓનલાઈન એજ્યુકેશનની વ્યવસ્થા કરવાની રહેશે.
કોરોનાની મહામારીને કારણે હાલ શાળાઓ બંધ છે ત્યારે ગુજરાત હાઈકોર્ટ દ્વારા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળને બાળકોના અભ્યાસ માટે ઓનલાઈન એજ્યુકેશનની વ્યવસ્થા કરવા માટે તાકીદ કરવામાં આવી છે. શાળાઓ દ્વારા લેવામાં આવતી ટ્રાન્સર્પોર્ટેશન, એક્ટિવીટીઝ કે બોર્ડીંગ ફી કે અન્ય કોઈ પણ પ્રકારની વધારાની ફી માટે સરકારે સંચાલકો સાથે મળીને વાલીઓને સહાયરૂપ થાય તેવી યોજના બનાવવાનો આદેશ કર્યો છે.
સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા વાલીઓને નિયમિત ટ્યુશન ફી ભરવા તાકીદ કરાઈ
સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રવક્તા દીપક રાજગુરુ દ્વારા વાલીઓેને વિનંતી કરવામાં આવી છે કે ગુજરાત રાજ્યની સ્વનિર્ભર શાળાઓ જેવી કે CBSE ની શાળાઓ એપ્રિલ મહીનાથી અને ગુજરાત બોર્ડની શાળાઓ જૂન માસથી શરૂ થઈ ગઈ છે. શિક્ષકો કોઈ પણ પ્રકારના પગાર વિના બાળકોને ઓનલાઈન એજ્યુકેશન આપી રહ્યા છે. આવા સમયે શિક્ષકોનો નિયમિત પગાર થાય અને તેમને વેચન આપી શકાય તે માટે વાલીઓને નિયમિત રીતે માસિક કે ત્રિમાસિકના ગાળામાં ટ્યુશન ફી ભરી સહાયરૂપ થવા માટે વિનંતી કરવામાં આવી છે.
હાઈકોર્ટના નિર્ણયથી વાલીમંડળ નારાજ, ફી માફી માટે આંદોલનની ચીમકી ઉચ્ચારી
સુરત વાલીમંડળના સભ્યોએ જણાવ્યું હતું કે, શાળા અને વાલી એકબીજાના પર્યાય છે. જેથી વાલી અને શાળા વચ્ચે સંકલન થવું જોઈએ. આ બાબતે શાળા સંચાલકોએ વાલીઓની એક મિટિંગ બોલાવી જોઈએ અને લોકડાઉનમાં બધા ધંધાને અસર પડી છે. જેથી વાલીઓ અને શાળા સંચાલકોને આ ઉપરાંત શિક્ષકોના પગાર પ્રશ્નોને લઇને કોઇ પણ પ્રકારની સમસ્યા ન થાય તે રીતે નિર્ણય લેવો જોઈએ. જો કે ઘણા વાલીઓએ હાઈકોર્ટના આ નિર્ણયને સરકાર અને સંચાલકોની મિલીભગત જણાવી છે સાથે જ તેમણે ફી માફી માટે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચી છે. .