Surat: સુરતના વરાછા હોન્ડા સિટી કારે સાત લોકોને અડફેટે લેતા ત્રણના મોત થયા છે અને ચાર ઈજાગ્રસ્તોમાંથી બેની હાલત ગંભીર છે. પોલીસે ડ્રાઈવરની ધરપકડ કરી છે.
સુરતના વરાછા વિસ્તારમાં શુક્રવારે સાતમી જુનની રાત્રે પુરપાટ ઝડપે આવતી કારે રોડની બાજુમાં પોતાના વાહનો સાથે બેઠેલા સાતને હડફેટે લીધા હતા. જેમાં એક બાળક સહિત ત્રણ લોકોના મોત થયા છે અને ચાર લોકો ઈજાગ્રસ્ત થયા છે. જેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જેમાંથી બેની હાલત ગંભીર છે.
મળતી માહિતી અનુસાર સુરતના મોટા વરાછા વિસ્તારમાં શુક્રવારે રાત્રે ૧૧:૩૦ વાગ્યાની આસપાસ હોન્ડા સિટી કાર પુરપાટ ઝડપે દોડી રહી હતી. આ દરમિયાનન કારચાલકના સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવ્યો હતો અને રોડની બાજુમાં બાઈક પર બેઠેલાને ટક્કર મારી હતી જેમાં ત્રણના મોત થયા હતા. જ્યારે અન્ય ચાર લોકોને ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા જેમાં એક સગર્ભા મહિલાનો સમાવેશ થાય છે. આ અકસ્માતનો ભોગ બનેલા મૃતકના નામ વિયાન દેવેશભાઈ વાઘાણી (ઉ.વ.૬) દેવેશભાઈ વાઘાણી અને સંકેત હિમતભાઈ વાવડીયા (ઉ.વ.ર૯)નો સમાવેશ થાય છે. જો કે, સુરતના ઉત્તરણ પોલીસે આ અકસ્માત સર્જનાર કારચાલકની ધરપકડ કરી છે.
અકસ્માત અંગે ઉત્રાણ પોલીસ સ્ટેશનના પીઆઈ એ.ડી. મહંતે જણાવ્યું કે જીજ્ઞેશ અમૃતલાલ ગોહિલ નામની વ્યક્તિ દ્વારા અકસ્માત થયો હોવાનું સામે આવ્યું છે. તે અમરોલીના સ્ટાર ગેલેક્સી છાપરાભાઠા રોડ વરીયાવ વિસ્તારમાં રહે છે. તે અમદાવાદથી પરત ફરતી વખતે તે સુરતના રીંગરોડ વિસ્તારમાંથી પસાર થઈ રહ્યો હતો. આ દરમિયાન એકાએક ઝોકુ આવી જતાં સ્ટીયરીંગ પર કાબુ ગૂમાવ્યો હતો અને એના કારણે અકસ્માત સર્જાયો હતો.
પુરપાટ ઝડપે આવતી કારે ક્ષણભરમાં પરિવાર વેર વિખેર કરી નાખ્યો હતો. અકસ્માતમાં છ વર્ષિય વિયાન વાઘાણીનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે તેના પિતા દેવેશભાઈ વાઘાણીનું પણ પુત્રના મોતના ૧૧ કલાકમાં મોત નિપજ્યું છે. જ્યારે દેવેશભાઈની સાળી હાલમાં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે.