ગુજરાતમાં તાઉ-તે વાવાઝોડાના કારણે અનેક મકાનો અને ઝૂંપડાઓ નાશ પામ્યા છે. ત્યારે મકાનોની સહાય માટે રાજ્ય સરકારે નુકસાનીની રકમ જાહેર કરી છે. મુખ્યપ્રધાનની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટીની બેઠકમાં મકાનો અને ઝૂંપડાઓને નુકસાનીની સહાય આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જે અંતર્ગત સંપૂર્ણ નાશ પામેલા મકાનો માટે રાજ્ય સરકાર દ્વારા 95 હજાર 100 રૂપિયાની સહાય કરાશે જ્યારે કે અંશતઃ નુકસાનીના કિસ્સામાં અસરગ્રસ્તને 25 હજારની સહાય મળશે. તો ઝૂંપડા માટે 10 હજારની સહાય જાહેર કરવામાં આવી છે તેમજ પશુ રાખવાની જગ્યા ગમાણ-વાડાને થયેલા નુકસાન માટે 5 હજારની સહાય જાહેર કરાઇ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, તાઉ-તે વાવાઝોડાથી સૌથી વધુ અસરગ્રસ્ત એવા ભાવનગરના મહુવા તાલુકાના ગામડાની મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ મુલાકાત લીધી હતી. સીએમ વિજય રૂપાણી અને રાજ્ય સરકારના પ્રધાન વિભાવરી બહેન દવે મહુવાના પધિયારકા ગામે પહોંચ્યા હતાં અને અસરગ્રસ્ત ગ્રામજનો સાથે સંવાદ કરીને મકાન-માલ મિલકતને થયેલા નુકસાનીની વિગતો મેળવી હતી.મુખ્યપ્રધાને પધિયારક ગામે દેવશીભાઈ બારૈયાના ઘરની મુલાકાત લીધી હતી અને ગ્રામજનોનો મળીને હૈયા ધારણા આપી હતી. ગામડાની મુલાકાત બાદ વિજય રૂપાણીએ મહુવામાં ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરીને સ્થિતિની સમીક્ષા કરી હતી.સમીક્ષા બેઠકમાં મુખ્યપ્રધાન રૂપાણીએ જણાવ્યું હતું કે, વાવાઝોડાથી પ્રભાવિત થયેલા મહુવા સહિતના દરિયાઇ પટ્ટીના તાલુકાઓને યુદ્ધના ધોરણે ફરી બેઠા કરી પૂર્વવત કરવા રાજ્ય સરકાર સંકલ્પબદ્ધ છે. તેમણે અસરગ્રસ્ત વિસ્તારોમાં નુકસાનીના પ્રાથમિક અંદાજો તૈયાર કરવા જિલ્લા તંત્રને માર્ગદર્શન આપ્યું હતું.