અમદાવાદ: બાપુનગરમાં રહેતી સગર્ભા પરિણીતાને સાસુ અને સસરાએ વાળ પકડીને જમીને પાડી દઈને ઢોર માર માર્યો હતો. જેથી મહિલાને પેટમાં અસહ્ય દુખાવો થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાઇ હતી. લાતો મારતા ગર્ભમાં રહેલા બાળકનું મોત નિપજ્યુ હતુ. આ અંગેની બાપુનગર પોલીસ સ્ટેશનમાં સાસુ અને સસરા વિરુદ્ધમાં ફરિયાદ નોંધાઇ હતી.
બાપુનગરમાં આનંદ ફ્લેટ પાસે ઇન્દીરા આવાસ નગરમાં રહેતા નેહાબહેન વિનોદભાઇ મલ્લાહે બાપુનગર પોલીસ સ્ટેશનમાં પોતાના સસરા લાલ મોહનભાઇ ગુલાઝાર મલ્લાહ તથા સાસુ સાવિત્રીદેવી સામે ફરિયાદ નોધાવી હતી કે,મહિલાના અઢી વર્ષ પહેલા લગ્ન થયા હતા.
લગ્નના આઠ મહિના બાદ જ દહેજ માટે માનસિક તેમજ શારિરિક ત્રાસ આપવામાં આવતો હતા. પતિની ગેર હાજરીમાં ઝગડો કરી પરિણીતા સાથે મારઝુડ કરતા હતા. જેથી તંગ આવીને પતિ-પત્ની મકાનમાં ઉપરના માળે રહેતા હતા પરંતુ પાણી ભરવા માટે નીચે જવું પડતું હતું. ગઇકાલે સવારે મહિલાના પતિ પાણી ભરવા માટે નીચે ગયા હતા. આ સમયે માતા-પિતાએ તેમની સાથે ઝગડો કરી માર મારવા લાગ્યા હતા.
જેથી સગર્ભા પરિણીતા પોતાના પતિને છોડવવા માટે જતાં સાસુ તેને પણ મારવા લાગ્યા હતા એટલું જ નહીં વાળ પકડીને નીચે પાડયા બાદ શરીરે કમરના ભાગે તથા પીઠના ભાગે લાતો મારી હતી. આ સમયે સસરા પાટલી લઇ આવીને પતિના હાથે-પગે અને પીઠના ભાગે મારી હતી સાસુએ પાટલી તેમની પાસેથી લઇને મહિલાને પેટમાં મારી હતી. આ દરમિયાન બુમા બુમ થતાં સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને તમામ લોકોને છૂટા પાડયા હતા.
મહિલાને પેટમાં દુખાવો થતા તેને સારવાર માટે હોસ્પિટલ મોકલી આપી હતી. મારમારીમાં પરિણીતાના પેટમાં રહેલા બાળકનું મોત નિપજ્યુ હતુ. આ અંગે સાસુ અને સસરાના વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથધરી છે.