IndiGo Flight Pilot Mayday Call: ઇમરજન્સી કોલ બાદ બેંગલુરુ એરપોર્ટ પર સફળ લેન્ડિંગ, અમદાવાદ દુર્ઘટનાની યાદ તાજી થઈ
IndiGo Flight Pilot Mayday Call: અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ લગભગ એક સપ્તાહમાં જ બીજી વખત હવાઈ ઉડાનમાં ઈમરજન્સી કોલનો બનાવ સામે આવ્યો છે. 19મી જૂનના રોજ ગુવાહાટીથી ચેન્નાઈ જતી ઇન્ડિગો ફ્લાઇટમાં પાઇલટે વિમાનમાં ઇંધણ ઘટી જવાનું જોયું અને તાત્કાલિક MAYDAY કોલ કર્યો.
પાઇલટ દ્વારા એયર ટ્રાફિક કંટ્રોલ (ATC) ને જાણ કરવામાં આવી કે વિમાનમાં જરૂરી માત્રામાં ઇંધણ નથી, જે બાદ વિમાનનું તાત્કાલિક બેંગલુરુના કેમ્પેગૌડા આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર સુરક્ષિત લેન્ડિંગ કરાવવામાં આવ્યું. વિમાનમાં કુલ 168 મુસાફરો હતા, જેને સુરક્ષિત રીતે ઉતાર્યા ગયા. બેંગલુરુમાં વિમાનમાં ઇંધણ ભરાયા બાદ તેને ચેન્નાઈ મોકલવામાં આવ્યું.
આ બનાવ એ સમયે બન્યો જ્યારે 12 જૂનના રોજ અમદાવાદમાં એર ઈન્ડિયાની ફ્લાઇટ AI-171 દુર્ઘટનાગ્રસ્ત થઈ હતી, જેમાં 270 લોકોનાં મૃત્યુ થયા હતા. ટેકઓફ થયા બાદ પાઇલટે MAYDAY કોલ કર્યો હતો, પરંતુ એયર ટ્રાફિક કંટ્રોલથી કોઈ જવાબ મળ્યો નહોતો. વિમાન ટેકઓફ બાદ થોડા જ પળોમાં મેડિકલ કોલેજના હોસ્ટેલ સાથે અથડાઈ ગયું હતું.
MAYDAY કોલનું મહત્વ
MAYDAY એ આંતરરાષ્ટ્રીય રીતે માન્ય ઈમરજન્સી કોલ છે, જે ઉડાન દરમિયાન અત્યંત જોખમ સર્જાય ત્યારે કરવામાં આવે છે. આ કોલ એયર ટ્રાફિક કંટ્રોલ તેમજ આસપાસના વિમાનો માટે સહાયનો સંકેત છે. ફ્રેન્ચ શબ્દ “m’aider” પરથી આવેલું MAYDAY શબ્દનું અર્થ ‘મને મદદ કરો’ થાય છે.
ગુજરાતમાં અમદાવાદ દુર્ઘટના બાદ ગુવાહાટી-ચેન્નાઈ ફ્લાઇટમાં આવી જ પરિસ્થિતિ સામે આવવાથી ઉડાન સલામતી અંગે નવા પ્રશ્નો ઉભા થયા છે. DGCA સહિત વિમાનચાલન સત્તાધિકારીઓ આવી ઘટનાઓનું તપાસ કરી રહ્યા છે, જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ અટકાવી શકાય.