રીના બ્રહ્મભટ દ્વારા
અમદાવાદ : ચુંટણીની મોસમ જામતી જઈ રહી છે. લોકોને પણ નેતાઓના ચિંતાતુર ચહેરા જોવાની લહેર પડી ગઈ છે. ૫ વરસ સુધી દબાયેલા, કચડાયેલા અવાજ સાથે જીવતી પ્રજા માટે લોકોત્સવ નજીકના દિવસોમાં છે. જેને પગલે કેન્દ્રીય ને તાઓની ગુજરાત અને હવે હિમાચલ પ્રદેશ તરફ દોટ વધી ગઈ છે. અસમંજસ ગુજરાત મામલે વધુ છે કેમ કે, ગુજરાત પાછલા કેટલાય સમયથી ભાજપાનો ગઢ છે. અને ગઢમાં ગાબડા પડે ત્યારે ચિંતા થવી સ્વાભાવિક છે. વધુમાં રોડ-રસ્તા મામલે ભાજપાની ઈમેજ ખાસ તો અમદાવાદમાં વધારે બગડી છે.
હાઇકોર્ટની વારંવારની ફટકાર બાદ પણ સ્થાનિક બોડીની લાપરવાહી એ બીજેપીને શરમમાં મુક્યું છે.જો કે, આવી તો ઢગલાબંધ બાબત છે કે જેનાથી લોકો નારાજ છે. ત્યારે લોકોની નારાજગી પારખીને સ્થિતિ વધુ બગડે એ પહેલા કવર કરવા ખુદ મોદી ૧૬ ઓકટોબર એ ગુજરાત આવવાના છે. ત્યારે જાણકાર સુત્રો જણાવી રહ્યા છે કે, દિવાળી પહેલા લોકોના બદલાયેલ મૂડને કેશ કરવા મોદી લોકોને ખુશ કરવા કોઈ જોરદાર જાહેરાત કરી ખુશ કરવાનું આયોજન કરી રહ્યા છે.
ત્યારે નોધનીય છે કે, ભાજપા માટે પાછલા ૨૨ વરસમાં આ પહેલો તેવો મોકો હશે કે જ્યાં, રાજ્યમાં પાટીદાર, લઘુમતી સમાજ, આદિવાસી, અને ખાસ તો કિસાનો સહીત ના ૩૮ % જેટલા મતદાતા ભાજપાથી નારાજ છે. અને આ સ્થિતિના લીધે હાલ કેટલીય સોસાયટી, મહોલ્લા અને ગલીઓ બહાર લોકોએ બેનર્સ લગાવી દીધા છે કે, કોઈ પણ પક્ષએ વોટ માંગવા આવવું નહિ.
વિશેષમાં બંને પક્ષને લોકોની નારાજગીનો ખરો અનુભવ તો ચુંટણીની તારીખ જાહેર થયા બાદની રેલીઓમાં થાય એવી વકી છે. કેમ કે, લોકો ખુબ જ ધૂંધવાયેલી હાલતમાં નજરે ચડે છે. અને ચોરે ને ચોટે વાતો કરી રહ્યા છે કે, તેઓ સરકારની દરેક વાતમાં આવીને મુર્ખ બન્યા છે. અને નવરાત્રીમાં પણ આવા ગરબા બનાવી લોકો એના પર ગરબા ખેલી ચુક્યા છે.
તો બીજી તરફ રાહુલ ગાંધી પણ આ ચુંટણીને પોતાના જીવનદાન તરીકે જોઈ રહ્યા હોવાથી એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. અને એટલે જ આ ચુંટણી બહુ સ્પસ્ટપણે રાહુલ v/s મોદીની થઇ ચુકી છે. જેમાં મોદીનું આ ગૃહરાજ્ય હોવાથી એમની પ્રતિષ્ઠા દાવ પર લાગી છે. અને વળી વડા પ્રધાન બન્યા બાદ આ પહેલી ચુંટણી છે. તેથી તેઓ પણ કોઇપણ ભોગે એ જીતવા માંગે છે.
પરંતુ એ બાબતને નજરઅંદાજ કરી શકાય એમ નથી કે, કેન્દ્રમાં બીજેપીની સત્તા આવ્યા બાદ રાજ્યમાં એક તરફ જ્યાં દલિત ઉત્પીડનની ઘટનાઓએ અખા દેશમાં બીજેપી વિરુદ્ધ દલિત સમાજમાં આક્રોશ ફાટી નીકળ્યો. તો હાર્દિક પટેલના ઉદયે બીજેપીની પરમ્પરાગત વોટ બેંકમાં તિરાડ પડવાની શરૂઆત કરી . અને એ સમયે પાટીદાર નેતા આનંદીબેન પટેલ મુખ્યમંત્રી હોવા છતાં સ્થિતિને કંટ્રોલના કરી શકતા એમને રુખ્શત અપાઈ. અને વિજય રૂપાણીને એમને સ્થાને બેસાડાયા પરંતુ સ્થિતિ જશની તશ છે. અને રૂપાણી પણ ખાસ ઉકાળી શક્યા નથી.
તો બીજી તરફ અલ્પેશ ઠાકોરે પણ ઓબીસી મંચ બનાવી લીધો છે.જે પણ બીજેપી વિરુદ્ધ છે. અને વળી હજુ પણ દલિતો સાથેની મારપીટ ની ઘટનાઓ ક્યાંકને ક્યાંક બની રહી છે.
વિશેષમાં જે સોશ્યલ મીડીઆનો પ્લેટ્ફોર્મ તરીકે બીજેપી ભરસક ઉપયોગ કરતી હતી એ જ તેની બદનામી અને મજાકનું સાધન બની ચુક્યું છે.વિકાસ પાગલ થઇ ગયો છે ની હેશટેગે બીજેપી કેમ્પમાં ખળભળાટ મચાવી દીધો છે. ત્યારે ભાજપા માટે આ ચુંટણી સાચે જ એક મોટો પડકાર છે.