રાજ્યમાં આજે સતત બીજા દિવસ કોરોનાના નવા કેસો 1100થી ઘટીને એક હજારની આસપાસ નોંધાયા છે. મંગળવારે સારવાર (Corona Treatment) દરમ્યાન વધુ 25 દર્દીઓનો મોત (Patient Death) થયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નવા 1020 કેસો નોંધાયા છે. જેમાં મહાપાલિકા (Corporation) વિસ્તાર પૈકી સુરત મનપા (SMC)માં 194 કેસો, અમદાવાદ મનપા (AMC)માં 138, વડોદરા મનપામાં 84, રાજકોટ મનપામાં 61, ભાવનગર મનપામાં 38, જુનાગઢ મનપામાં 21, જામનગર મનપામાં 18, ગાંધીનગર મનપામાં 8 કેસો સાથે મનપા વિસ્તારમાં 562 કેસ, જ્યારે જિલ્લાઓમાં 458 કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કોરોનાના કુલ કેસો (Corona Cases) વધીને 65,704 સુધી પહોંચી ગયા છે.
રાજ્યમાં મંગળવારે વધુ 25 દર્દીઓના મોત થયા છે. જેમાં સુરત મનપામાં 8, અમદાવાદ મનપામાં 3, સુરત જિ.માં 3, જામનગર મનપામાં 2, જુનાગઢ જિ.માં 2, જુનાગઢ મનપામાં 2, ભાવનગર મનપામાં 1, જામનગરમાં 1, રાજકોટ મનપામાં 1, વડોદરા જિ.માં 1 અ વડોદરા મનપામાં 1 એમ કુલ 25 દર્દીઓનો સમાવેશ થાય છે. આ સાથે રાજયમાં અત્યાર સુધીમાં કોરોનાના કારણે 2534 દર્દીઓના મોત નીપજ્યા છે.
દેશમાં કોરોનાના કેસો (Corona Virus/Covid-19) એ સ્પીડ પકડી લીધી છે. આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં દેશમાં 52,050 નવા કેસ નોંધાયા છે અને 803નાં મોત થયા છે. વિતેલા 24 કલાકમાં દેશમાં સર્વાધિક 6,61,715 સેમ્પલ ટેસ્ટ (sample test) કરવામાં આવ્યા હતા.
એવામાં અમદાવાદ મેડિકલ એસોસિએશન (Ahmedabad Medical Association) દ્વારા ગુજરાત હાઇકોર્ટ (Gujarat HC) માં કોરોનાના ટેસ્ટિંગના મુદ્દે કરવામાં આવેલી અરજીની સુનાવણીમાં હાઇકોર્ટે રાજ્ય સરકારને વેધક પ્રશ્ન કર્યો હતો કે ટેસ્ટીગની બાબતમાં ગુજરાત અન્ય રાજ્યો કરતાં પાછળ કેમ ? નિષ્ણાતોની સલાહ પ્રમાણે ટેસ્ટિંગ વધારવું જોઈએ.અમદાવાદ મેડિકલ એસોસિયેશન દ્વારા હાઇકોર્ટમાં કરેલી અરજીમાં રજૂઆત કરાઈ હતી કે ગુજરાતમાં કોરોનાના ટેસ્ટિંગ ઓછા કરવામાં આવી રહ્યા હોવાનો દાવો કરાયો હતો. ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકારને વેધક પ્રશ્નો કર્યા હતા, જેમાં 11 જિલ્લાઓમાં હજુ સુધી લેબ કેમ સ્થાપવામાં આવી નથી ? તેવો પણ પ્રશ્ન કર્યો હતો.