Jamjir Waterfall rescue incident: ભારે વરસાદથી શિંગોડા નદીમાં સર્જાયા ખતરનાક પળો
Jamjir Waterfall rescue incident: સૌરાષ્ટ્રમાં આવેલો જમજીર ધોધ ચોમાસાની ઋતુમાં કુદરતી સૌંદર્યનું અદ્ભુત દ્રશ્ય ઉભું કરે છે. ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસેલા ધોધમાર વરસાદે તમામ નદી-નાળાઓ છલકાવી દીધાં છે, ત્યારે જમજીર ધોધમાં પણ પાણીનો પ્રવાહ અત્યંત તેજ બન્યો હતો. એ જ સમયે 6 પ્રવાસીઓ અચાનક પુરમાં ફસાઈ ગયા.
ગીર જંગલ ઉપરવાસમાં વરસાદથી શિંગોડા નદીમાં પુર
ગીર જંગલ ઉપરવાસમાં સતત વરસાદ પડતાં શિંગોડા નદીમાં ઘોડાપુર આવ્યું. પાણીનો જોરદાર પ્રવાહ આવી જતા 6 પ્રવાસીઓ પાણીમાં ઘેરાઈ ગયા. જાણ થતાં જ સ્થાનિક તંત્ર, કોડીનાર ગીર ગઢડા પ્રશાસન તથા તરવૈયાઓ બચાવ માટે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા.
તમામ 6 પ્રવાસીઓને સુરક્ષિત રીતે બચાવાયા
તંત્ર અને સ્થાનિક તરવૈયાઓના જહેમતભરા પ્રયાસોથી તમામ 6 પ્રવાસીઓનો સફળતાપૂર્વક બચાવ કરવામાં આવ્યો. હાલ તમામ પ્રવાસીઓ સલામત છે. જાણવા મળ્યું કે પ્રવાસીઓ દીવના રહીશ હતા, જે ફરવા માટે જમજીર ધોધ આવ્યા હતા, પરંતુ અચાનક પાણી વધી જતા ફસાઈ ગયા.
જમજીર ધોધનું પૌરાણિક મહત્વ
જમજીર ધોધનું નામ જમદગ્નિ ઋષિના નામ પરથી પાડવામાં આવ્યું છે. એ સ્થાન ભગવાન પરશુરામની તપોભૂમિ તરીકે ઓળખાય છે. શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે પરશુરામજીનાં માતા રેણુકા અહીંથી જ પાણી ભરી આશ્રમ સુધી લઈ જતાં. એ જ સ્થળે સહસ્ત્રબાહુએ જમદગ્નિ ઋષિના આશ્રમેથી કામધેનુ ગાય ચોરી લીધી હતી, જેને પાછી મેળવવા માટે પરશુરામે યુદ્ધ કરી વિજય મેળવ્યો હતો.
ચોમાસાની ઋતુમાં જમજીર ધોધનું દૃશ્ય આનંદમય પણ ખતરનાક
જમજીર ધોધ ચોમાસાની ઋતુમાં કુદરતી સૌંદર્યનું અદભૂત દ્રશ્ય પેદા કરે છે. દુરદૂરથી પર્યટકો અહીં આવે છે, પરંતુ પાણીનો જોરદાર પ્રવાહ જોખમજનક હોઈ શકે છે. તેથી જ આ ધોધનો આનંદ દુરથી જ લેવો જરૂરી છે.
સરસ્વતી નદીમાં પણ ઘોડાપુર
છેલ્લાં કેટલાક દિવસોમાં ગીર સોમનાથ તથા તાલાળા વિસ્તારમાં ચાર ઇંચ વરસાદ પડ્યો છે. જેના કારણે સરસ્વતી સહિત અનેક નદીઓમાં ઘોડાપુર આવ્યું છે. તંત્ર દ્વારા લોકોને ચેતવણી આપવામાં આવી છે કે જમજીર જેવા ધોધોની નજીક જતી વખતે ખાસ કાળજી રાખે.