Junagadh 1983 Flood Disaster: 22 જૂન 1983ના દિવસે વંથલીના શાપુર ગામે જોઇ હતી ભયાનક પૂરની ત્રાસદી, ઇન્દિરા ગાંધી સહિતના નેતાઓએ હાથ ધર્યું હતું રાહત કાર્ય
Junagadh 1983 Flood Disaster: ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે અને અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડે છે. પરંતુ 42 વર્ષ પહેલા, 22 જૂન 1983ના રોજ જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના શાપુર ગામે જે હોનારત સર્જાઈ હતી, એ આજ સુધી લોકોના મનમાં તાજી છે. એ દિવસ ગુજરાતના ઈતિહાસમાં કાળાદિન તરીકે નોંધાયો છે.
24 કલાકમાં 70 ઈંચ વરસાદ
શાપુર ગામમાં એ દિવસે 24 કલાકમાં લગભગ 70 ઈંચ વરસાદ ખાબક્યો હતો. ઓઝત, કાળવા, મધુવંતી અને ઉબેણ નદીઓ ગાંડીતૂર થઈ હતી. પૂરે શાપુર તથા વંથલીનો સમગ્ર વિસ્તાર જળમગ્ન કરી દીધો હતો. ગામમાં ગઢની રાંગ કરતાં પણ વધારે પાણી ભરાઈ ગયું હતું, લોકો છાપરા, વૃક્ષો તથા નળિયાં પર ચડીને બે દિવસ સુધી જીવ બચાવતા રહ્યા હતા.
તબાહીના દ્રશ્યો
પૂરના કારણે રેલવે લાઇન, વીજળીના થાંભલા, ટેલિફોન વ્યવસ્થા તથા રસ્તાઓ સંપૂર્ણપણે નાશ પામ્યા હતા. ચારે બાજુ તબાહીના દ્રશ્યો જ નજરે પડતા હતા.
ઇન્દિરા ગાંધી અને માધવસિંહ સોલંકી ની મુલાકાત
ચાર દિવસ બાદ તત્કાલિન વડાપ્રધાન ઇન્દિરા ગાંધી, ગુજરાતના મુખ્યમંત્રી માધવસિંહ સોલંકી તથા અન્ય નેતાઓએ શાપુર-વંથલી વિસ્તારની મુલાકાત લીધી હતી. તબાહી જોઈ ઇન્દિરા ગાંધી પણ સ્તબ્ધ થઈ ગયા હતા.
7 દિવસમાં પુનર્નિમાણ
ઇન્દિરા ગાંધીના નેતૃત્વ હેઠળ માત્ર 7 દિવસમાં જ રાહત કામગીરી હાથ ધરવામાં આવી અને તબાહીના પંથકનું પુનર્નિમાણ કરવામાં આવ્યું. લોકો માટે નવા મકાન, રસ્તા તથા સુવિધાઓ ઉભી કરવામાં આવી.
42 વર્ષ પછી પણ તાજી યાદો
42 વર્ષ વીતી ગયા છતાં શાપુર-વંથલીના વડીલો એ દિવસને યાદ કરી આજે પણ ભાવુક થઈ જાય છે. એ પુરે આ વિસ્તારના લોકોના જીવનમાં ઊંડો ઘાવ કર્યો હતો, પણ સમાજની એકતા તથા સરકારના ઝડપી પ્રયાસો દ્વારા ગામ ફરીથી ઉભું થયું હતું.