Gujarat: ગુજરાતના નાણામંત્રી અને નેતા કનુ દેસાઈના વાણી વિલાસ સામે કોળી સમાજ રાતોચોળ થઈ ગયો છે. સમાજ કનુભાઈ દેસાઈ બાંયો ચડાવી વિરોધ કરવા સજ્જ થયો છે. ગામેગામથી કોળી સમાજના આગેવાનો આવેદનપત્ર આપીને અને વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં તથા મીડિયાકર્મીઓને પહોંચાડી રહ્યા છે કે કોળી સમાજ યા શું કરી શકે છે.
મુન્નાભાઈ બાવળીયા નામના કોળી અગ્રણીએ પત્રકાર મિત્રોને જણાવ્યું હતું કે સમગ્ર કોળી સમાજની લાગણી દુભાવવાનો કોઈને અધિકાર નથી. આજ સુધી અમે ભારતીય જનતા પક્ષ સાથે રહ્યા છીએ અને કોઈ પણ જાતની અપેક્ષા રાખી નથી. અમે તડકામાં ઉભા રહ્યા છીએ.
તેમણે કહ્યું અમે ભાજપનાં નેતાઓને મત આપ્યા છે, પરંતુ જો આવી નીતિ કાયમ રહી તો અને કનુ દેસાઈ જાહેર મંચ પરથી માફી નહીં માંગે તો ક્ષત્રિય સમાજની જેમ અમે સક્ષમ ન હોઇ, ભલે કોઈ સંમેલન તો નહીં કરી શકીએ, પરંતુ કોઈ પણ નેતાને હરાવવા માટે અમે આજે પણ સક્ષમ છીએ. આમ સમગ્ર ગુજરાતમાં ધીમે ધીમે કોળી સમાજનું આંદોલન પણ પ્રસરતું જાય છે.
રાજકોટ ખાતે કલેકટર અને તંત્રને કોળી અગ્રણીઓ આવેદનપત્ર પણ આપવાના છે. હાલ પત્રિકા યુદ્ધને કારણે લેઉવા પટેલ સમાજ પણ થોડો ખફા છે ક્ષત્રિય સમાજનું આંદોલન તો ચાલુ જ છે તેમાં કોળી સમાજનો ઉમેરો થયો છે આ બધી પરિસ્થિતિ જોતા ભાજપને આવનારા દિવસોમાં મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે માટે તાત્કાલિક ડેમેજ કંટ્રોલમાં લાગી ગયું હોવાનું જાણવા મળી રહ્યું છે.
કનુ દેસાઇના કોળી પટેલ પરના વિવાદિત નિવેદન બાદ રાજકારણ ગરમાયું છે અને કનુભાઇ દેસાઇ જો માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે. કોળી સમાજ વિશે કનુ દેસાઇએ કરેલી વિવાદિત ટિપ્પણી બાદ કોંગ્રેસ આકરા પાણીએ જોવા મળી રહી છે. વલસાડ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષ પટેલે કનુ દેસાઇ પર પ્રહાર કર્યો. શૈલેષ પટેલે કહ્યું કે, મંત્રી થઇને કનુભાઇને આવા નિવેદનો શોભતા નથી. તેઓએ પડકાર ફેંક્યો કે જો, “કોળી અને ધોળી જો એક થઇ જશે તો ભાજપ ક્યાંયનું નહીં રહે”.
નાણા મંત્રી કનુ દેસાઇએ કોળી સમાજને લઇને ટિપ્પણી કરી હતી જેનો વિરોધ થઇ રહ્યો છે.
અખિલ ભારતીય કોળી સમાજના ઉપ પ્રમુખ પ્રવિણ સોલંકીએ કહ્યું કે, નાણા મંત્રી દરજ્જાના વ્યક્તિ આ રીતનો વાણી વિલાસ કરે તો કોળી સમાજ કોઇ દિવસ સાથે નહીં રહે. આ ટિપ્પણીનું પરિણામ કનુભાઇએ ભોગવવુ પડશે. બધા સમાજ માટે આવા બફાટ થાય છે તો ભાજપ હાઇકમાન્ડ ચૂપ કેમ છે? આ મોટા દરજ્જાના નેતાઓ બફાટ કરે છે તેને ભુલ ન કહેવાય. આ સાથે જ અખિલ ભારતીય કોળી સમાજના ઉપ પ્રમુખે કહ્યું કે, કનુભાઇએ રાજીનામું આપવું જ પડશે ત્યાં સુધી કોળી સમાજ માફ નહિં કરે.”
નાણામંત્રી કનુ દેસાઇએ તો થોડા દિવસ અગાઉ ચૂંટણી પ્રચાર દરમિયાન કોળી સમાજને લઇને વિવાદિત નિવેદન આપ્યું હતું.
કનુ દેસાઈએ કહ્યુ હતું કે ‘કોળિયા કુટાય અને ધોળી ચૂંટાય’ આ નિવેદન બાદ વિવાદ થયો છે. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે પણ આક્ષેપ કર્યો કે ભાજપના નેતાઓ બેફામ વાણીવિલાસ કરતા હોય છે. કનુ દેસાઈએ કોળી જ્ઞાતિનું અપમાન કર્યુ હોવાનો શક્તિસિંહે આક્ષેપ કર્યો અને ભાજપના નેતાઓ પણ મૌન બની ખેલ જોતા રહે છે.