ગાંધીનગર- કચ્છમાં દર વર્ષે યોજાઇ રહેલા રણોત્સવમાં કુલ પ્રવાસીઓની સાથે સાથે વિદેશી પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. છેલ્લા બે વર્ષમાં માત્ર 12500 વિદેશી પ્રવાસીઓ રણોત્સવ જોવા માટે આવ્યા હતા. એક વર્ષમાં વિદેશી પ્રવાસીઓની સંખ્યામાં 50 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.
કચ્છનો રણોત્સવ તેની બ્યુટી ગુમાવતો જાય છે તેની પાછળનું મુખ્ય કારણ પ્રાઇવેટાઇઝેશન છે. સ્થાનિક લોકોના ભૂંગા જેવા આવાસ છોડીને વિવિધ એજન્સીઓએ ફાઇવસ્ટાર હોટલોનું નિર્માણ કરી દેતાં કચ્છનો રણોત્સવ ફીક્કો પડી રહ્યો છે. ઓનલાઇન બુકીંગમાં પણ સામાન્ય વ્યક્તિ રણોત્સવ માટે બુકીંગ કરાવી શકે નહીં તેવી ઉંચી ફી વસૂલ કરવામાં આવે છે.
તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ જ્યારે રણોત્સવ શરૂ કર્યો હતો ત્યારે તેનો આશય સ્થાનિક કક્ષાએ રોજગારીના સર્જનનો હતો. રાજ્ય અને રાજ્ય બહારના પ્રવાસીઓ જ્યારે રણોત્સવ માણવા માટે આવે ત્યારે તેમને કચ્છના ગ્રામ્ય ઘોરડો વિસ્તારના રહીશોને રોજગારી મળી રહે, એટલું જ નહીં આ પ્રવાસીઓ કચ્છના લોકપ્રિય ભૂંગા જેવા આવાસોમાં રહીને ભાડુ ચૂકવે જેથી સ્થાનિક રહીશોને તેમાંથી આવક મળી રહે. જો કે હવે રણોત્સવને કોર્પોરેટ ટચ આપી દેવામાં આવ્યો છે.
રાજ્યના પ્રવાસન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે 2018ના વર્ષમાં રણોત્સવ માટે 516544 જેટલા પ્રવાસીઓ આવ્યા હતા જે પૈકી 8186 જેટલા પ્રવાસીઓ વિદેશોમાંથી આવ્યા હતા. જો કે બીજા વર્ષે એટલે કે 2019માં રણોત્સવ જોવા માટે કુલ 438125 જેટલા પ્રવાસીઓ આવ્યા હતા પરંતુ તેમાં માત્ર 4457 વિદેશી પ્રવાસીઓ હતા. આ રણોત્સવમાં પ્રવાસીઓ ઘટ્યાં છે અને તેમાં ચોંકાવનારી બાબત એવી સામે આવી છે કે વિદેશી પ્રવાસીઓની સંખ્યા ઓછી થઇ છે.
રણોત્સવના આયોજન થકી રાજ્યના પ્રવાસન નિગમને 2018ના વર્ષમાં 29076525 રૂપિયાની આવક થઇ હતી પરંતુ 2019માં તે આવક ઘટીને 21063850 રૂપિયા થઇ છે. એટલે કે પ્રવાસીઓની સંખ્યા ઘટતાં આવકમાં પણ મોટો ઘટાડો નોંધાયો છે.