Maheshgiri Bapu slams AAP leader: કેજરીવાલ મંદિર જાય, ઈટાલિયા ધર્મની અવગણના કરે?
Maheshgiri Bapu slams AAP leader: જૂનાગઢના ભૂતનાથ મંદિરના મહંત મહેશગિરિ બાપુએ આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઈટાલિયા સામે તીખા શબ્દોમાં આક્રોશ વ્યક્ત કર્યો છે. બાપુએ જાહેર રીતે એક વિવાદાસ્પદ હાકલ કરી છે કે “ગોપાલ ઈટાલિયાને કોઈપણ ગામમાં ઘૂસવા ન દેવા જોઈએ”, કારણકે તેમના નિવેદનો હિંદુ ધર્મ અને સાધુ-સંતો સામે અપમાનજનક અને વિભાજક રહ્યા છે.
બાપુએ આરોપ લગાવ્યો કે ગોપાલ ઈટાલિયા વારંવાર ધર્મ વિરુદ્ધ નિવેદનો કરે છે અને તેનો વીડિયો ક્લિપ પણ ઈન્ટરનેટ પર પ્રસિદ્ધ થયો છે જેમાં તેમણે ધાર્મિક પરંપરાઓનો મજાક ઉડાવતી ભાષા ઉપયોગ કરી છે. બાપુએ આક્ષેપ કર્યો કે – “જ્યારે અરવિંદ કેજરીવાલ મંદિર જાય છે, ત્યારે એ જ પાર્ટીના નેતા ગોપાલ ઈટાલિયા કેમ ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડે છે?”
તેમણે તીવ્ર શબ્દોમાં કહ્યું કે, “આવા લોકો સમાજમાં વિભાજન ફેલાવે છે અને સંસ્કૃતિનું અપમાન કરે છે. કથાકારો, ડાયરાના કલાકારો, સાધુ-સંતો, પૂજારી સમાજ – સૌને હવે એક થઇને આવા લોકોનો બહિષ્કાર કરવો જોઈએ.”
મહેશગિરિ બાપુએ એવું પણ કહ્યું કે માત્ર ધાર્મિક મુદ્દાઓ નહીં, પણ આમ આદમી પાર્ટી દ્વારા શાસિત રાજ્યોમાં થયેલા ભ્રષ્ટાચારના કિસ્સાઓ પણ ચિંતા જનક છે. તેમણે ઉમેર્યું કે, “જે લોકો જાતે રાજકીય પદ પર છે તેઓ એક બાજુ મંદિરોમાં દર્શન કરે છે અને બીજી બાજુ તેમના જ સાથીઓ હિંદુ ધર્મનો નાસ કરો તેવું વર્તન કરે છે.”
સાધુ-સંતોનો જાગૃત થવાનો સમય: બાપુની અપીલ
મહેશગિરિ બાપુએ પોતાના સંદેશમાં ખાસ કરીને હિન્દુ સાધુ-સંતો, પૂજારીઓ અને ધાર્મિક સંગઠનોને એક થવા અને ધર્મના વિરોધમાં ઊતરેલા લોકોને કોઈપણ ધાર્મિક કાર્યક્રમોમાં સ્થાન ન આપવા માટે અપીલ કરી છે. તેઓએ કહ્યું કે, “આ ધાર્મિક જગતની ઇજ્જતનો પ્રશ્ન છે. હવે મૌન તોડવાનો સમય આવી ગયો છે.”
મહંત મહેશગિરિ બાપુના આ નિવેદનથી ગુજરાતના રાજકીય તેમજ ધાર્મિક વર્તુળોમાં ભારે ચર્ચા સર્જાઈ છે. ગોપાલ ઈટાલિયા પ્રતિસાદ આપશે કે કેમ અને આમ આદમી પાર્ટી આ વિવાદમાં શું સ્થિતિ લે છે – તે આવનારા સમયમાં જોવું રસપ્રદ રહેશે.