Makar Sankranti 2025 : ઉત્તરાયણ અને ઊંધિયાની મજા: ગુજરાતના ચારે મહાનગરોમાં 1.40 લાખ કિલો ઊંધિયું અને જલેબીનું ધૂમવેચાણ
ઉત્તરાયણ પર્વ પર ગુજરાતમાં 1.40 લાખ કિલો ઊંધિયું વેચાઈ 8 કરોડનું વેચાણ થવાની શક્યતા
ઉત્તરાયણ પર ઊંધિયાની સાથે જલેબી અને ફરસાણની પણ ભારે માગ, જલેબીનો ભાવ 800 રૂપિયા કિલો સુધી પહોંચી ગયો
અમદાવાદ, સોમવાર
Makar Sankranti 2025 : ઉત્તરાયણ પર્વ ગુજરાતમાં શ્રદ્ધા અને ઉત્સાહનો રંગે ચઢેલો તહેવાર છે, અને એમાં ઊંધિયાનું ખાસ મહત્ત્વ છે. ઉત્તરાયણના દિવસે ખાસ કરીને લીલી શાકભાજીથી બનેલું ઊંધિયું અને મીઠી જલેબીના વિના આ પર્વ અધૂરું લાગે છે. આ વર્ષે ગુજરાતના ચાર મુખ્ય શહેરોમાં અંદાજે 1.40 લાખ કિલો ઊંધિયું અને હજારો કિલો જલેબીનું વેચાણ થવાનું અનુમાન છે.
અમદાવાદ:
અમદાવાદીઓ આ વખતે 35,000 થી 40,000 કિલો ઊંધિયું આરોગશે. અહીં ઊંધિયાના ભાવ 450 થી 650 રૂપિયા પ્રતિ કિલો સુધી છે. સાથે જલેબીના ભાવ 800 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગયા છે.
વડોદરા:
વડોદરામાં પણ 25,000 થી 30,000 કિલો ઊંધિયું વેચાવાનું અનુમાન છે. ગુજરાતી, પંજાબી અને કાઠિયાવાડી વેરાયટીઓમાં બનાવાતા ઊંધિયાને અહીંના લોકો ખૂબ પસંદ કરે છે.
સુરત:
સુરતીઓના ઉત્સવમાં બે દિવસ સુધી ઊંધિયાનો મહિમા રહે છે. 100 રૂપિયા સુધી વધેલા ઊંધિયાના ભાવ છતાં, સુરતીઓ દરેક ઘરમાં અને હોટલમાં આ વાનગીનો આનંદ માણે છે. અહીં માટલામાં બનાવાતું પારંપરિક ઊંધિયું ખાસ લોકપ્રિય છે.
રાજકોટ:
રંગીલા રાજકોટવાસીઓ આશરે 30,000 કિલો ઊંધિયું આરોગશે. અહીંના મટુકી રેસ્ટોરન્ટમાં માટલામાં ઊંધિયું બાફીને ખાસ બનાવવામાં આવે છે, જે 480 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાય છે.
ઉત્તરાયણ પર્વ પર ફક્ત ઊંધિયું જ નહીં, પરંતુ લીલવાની કચોરી, સમોસા, ફાફડા-જલેબી, અને સાતધાન ખીચડો જેવી વાનગીઓનું પણ ભારે વેચાણ થાય છે. પરંપરાગત ખોરાકની આ મજા દરેક ધાર્મિક અને સાંસ્કૃતિક તહેવારોને યાદગાર બનાવી દે છે.