ગળતેશ્વર તાલુકાના મોકાના મુવાડામાં ડૂબતી મહિલાને બચાવવા નહેરમાં પડેલા યુવકનું ડૂબી જતાં મોત નિપજ્યું હતું. જોકે, તે પહેલા તે મહિલાને બચાવવામાં સફળ રહ્યો હતો. બીજી તરફ યુવકના મૃત્યુ બાદ ગ્રામજનોએ હોબાળો મચાવ્યો હતો અને તંત્ર દ્વારા સમયસર બચાવ કામગીરી માટે મદદ ન મળી હોવાનો આક્ષેપ કર્યો હતો અને મૃતદેહનો સ્વીકાર કરવાની ના પાડી દેતાં તંત્ર દોડતું થયું હતું. ઉચ્ચ અધિકારીઓ દ્વારા ગ્રામજનોને સમજાવવામાં આવ્યા હતા.
ગળતેશ્વર તાલુકાના હાંડિયા ગામે રહેતા નંદુબેન પરમાર (ઉ.વ.આ. 55) પોતાની દીકરીને લઇને નહેર પાસેથી પસાર થઇ રહ્યા હતા. આ સમયે નંદુબેન કેનાલમાં ઉતરતાં તેમનો પગ લપસ્યો હતો અને તેઓ કેનાલના પાણીમાં પડ્યા હતા. માતાને કેનાલમાં પડતી જોઇને કિનારે ઉભેલી દીકરીએ બૂમાબૂમ કરી મૂકતાં ત્યાંથી પસાર થઇ રહેલા કિરણભાઇ પરમાર (ઉ.વ.26) એ પળનો પણ વિચાર કર્યા વગર કેનાલમાં ઝંપલાવ્યું હતું અને નંદુબેનને સુરક્ષીત રીતે કિનારે પહોંચાડ્યા હતાં. જોકે બાદમાં કિરણભાઇ નહેરના પાણીમાં લાપતા થઇ જતાં સ્થાનિકો તરવૈયાઓ દ્વારા તેમની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. સાંજના સમયે કેનાલમાંથી તેમનો મૃતદેહ મળી આવ્યો હતો.