વિશ્વની સૌથી ઊંચી સરદાર સાહેબની પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લોકાર્પણ કરાયા બાદ જોવા માટે લોકોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. શનિવારે 23,66 લોકોએ સ્ટેચ્યુ ઓફ યુનિટીને નિહાળ્યું હતું. પાછલા 10 દિવસમાં એક લાખ લોકોએ સ્ટેચ્યુ ઓફ યુનિટીના દર્શન કર્યા હતા અને સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટને બે કરોડ રૂપિયાની આવક થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. માત્ર નવ દિવસમાં આ આવક 1,76,84,465 પર પહોંચી ગઈ હતી અને નવ દિવસમાં આશરે 74,671 લોકો અહીં જોવા આવ્યા હતા
સ્ટેચ્યુ ઓફ યુનિટી સાથે સંકળાયેલા વિવિધ ભાગો નિહાળવા માટેના દરો નિયત કરાયા છે. જેમાં પુખ્ત વયના પ્રવાસીઓ માટે બસ ટીકીટના દર 30 રૂપિયા, એન્ટ્રી ટીકીટ, સ્ટેચ્યૂ બેઈઝ પ્રદર્શન વિગેરેની ટીકિટના દર રૂ.120 તથા એન્ટ્રી ટીકીટ સ્ટેચ્યૂ બેઈઝ પ્રદર્શન તથા વ્યુ ગેલેરીના દર રૂ. 350 રહેશે.
ત્રણ વર્ષથી પંદર વર્ષ સુધીના બાળકો માટે બસ ટીકીટના દર રૂ.30, એન્ટ્રી ટીકીટ, સ્ટેચ્યૂ બેઈઝપ્રદર્શન વિગેરેની ટીકિટના દર રૂ.60 તથા એન્ટ્રી ટીકીટ સ્ટેચ્યૂ બેઈઝ પ્રદર્શન તથા વ્યુ ગેલેરીના ટીકીટના દર રૂ.200 નિયત કરાયા છે, એમ સરદાર સરોવર નર્મદા નિગમની યાદીમાં જણાવાયું છે.
આ તમામ ટીકિટો શ્રેષ્ઠ ભારત ભવન ઉપરાંત મેમોરીયલ અને વીઝિટર સન્ટર પરથી મેળવી શકાશે, તેમજ WWW.SOUTICKETS.IN પરથી ઓનલાઇન બુકીંગથી પણ ટીકિટ મેળવી શકાશે. સ્ટેચ્યૂ ઓફ યુનિટીની વ્યુ ગેલેરી તથા પ્રદર્શન હૉલની પ્રવાસીઓ માટેની દૈનિક ક્ષમતા પૂર્ણ થયે ઓન લાઇન ટીકિટ બુકીંગ આપો આપ બંધ થઇ જશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, બધીજ ટીકીટોના વેચાણનો સમય સવારના 8:30 કલાકથી બપોરનાં 04:00 કલાક સુધીનો રહેશે. તથા દર સોમવારે સ્ટેચ્યૂ ઓફ યુનિટી, પ્રદર્શન અને વ્યુ-ગેલેરી બંધ રહેશે. શાળાના વિદ્યાર્થીઓને સરદાર સરોવર બંધ જોવા માટે શાળાની બસોને બંધ સુધી જવા દેવામાં આવશે, એમ વધુમાં જણાવ્યું છે.
અહીં એ પણ ઉલ્લેખનીય છે કે, દિવાળીની રજાઓ દરમિયાન સ્ટેચ્યૂ ઓફ યુનિટીના પ્રવાસીઓની સંખ્યામાં આગામી દિવસોમાં ભારે ધસારો થવાની સંભાવના છે. ઓન લાઇન બુકીંગ પણ ઘણા થયા છે. શરૂઆતના દિવસે જ 7,000થી વધુ પ્રવાસીઓએ સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી. કેવડીયા કોલોનીમાં પ્રવાસીઓનો ભારે ધસારો છે. રજાઓમાં ભારે બુકીંગ અને પ્રવાસીઓના અતિભારે ધસારાને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા પૂરતી કાળજી લેવામાં આવી રહી છે.