વીર નર્મદ યુનિવર્સિટી દ્વારા આજે નવા કુલપતિની ભરતી માટેની જાહેરાત બહાર પાડીને નવા કુલપતિ શોધવાની પ્રક્રિયા આરંભી દેવામાં આવી છે. આવ્યા ત્યારથી વિવાદના વંટોળ વચ્ચે ઘેરાયેલા નર્મદ યુનિવર્સિટીના કુલપતિ ડો. શિવેન્દ્ર ગુપ્તા વિરુદ્ધ અધ્યાપકોથી માંડીને વિરોધી જૂથો દ્વારા ઉચ્ચ સ્તર સુધી ફરિયાદો થઈ છે. એવામાં હવે તેમના કાર્યકાળ પૂર્ણ થવાને એક મહિનાની વાર છે ત્યારે નર્મદ યુનિ. ના નવા કુલપતિના પદ માટે દાવેદારોના બાયોડેટા અને અરજી ઈ-મેઈલ મારફતે મંગાવવામાં આવી છે. છેલ્લા ઘણા સમયથી કુલપતિના પદ્દ માટેના સપના જોઈ રહેલા દાવેદારોની ઈચ્છા પૂર્ણ થવા જઈ રહી છે ત્યારે હવે લાગવગ અને ઓળખાણના દોર વચ્ચે નર્મદ યુનિવર્સિટીને આ વર્ષે દક્ષિણ ગુજરાતના કુલપતિ મળશે કે ગુજરાત બહારના તે જોવું રહ્યું.
નોંધનીય છે કે નર્મદ યુનિવર્સિટી દ્વારા કુલપતિની ટર્મ પુરી થાય તેના પાંચ મહિના પહેલા ફેબ્રુઆરીથી જ નવા કુલપતિ માટેની શોધખોળ આરંભી દેવામાં આવી હતી. પ્રથમ તબક્કામાં યુનિવર્સિટી તરફથી સિન્ડીકેટ મેમ્બરોએ રાજકોટના શિક્ષણવિદ સંજીવ ઓઝાની પસંદગી કરી હતી. ત્યારબાદ રાજ્યની તમામ યુનિવર્સિટીઓના કુલપતિઓની સુરતમાં દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં બેઠક મળી હતી. જેમાં ભાવનગર યુનિવર્સિટીના કુલપતિ અને દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ માટેના મહત્વના દાવેદાર એવા ભાવનગર યુનિવર્સિટીના કુલપતિ મહિંપતસિંહ ચાવડાની પસંદગી કરવામાં આવી હતી. જો કે ત્યારબાદ કોરોનાને કારણે કરવામાં આવેલા લોકડાઉનમાં રાજ્યપાલ કચેરી તરફથી હજી સુધી અંતિમ નામ જાહેર ન કરાતા આ પ્રક્રિયા હજી અસંમજમાં છે. આ તમામની વચ્ચે 24 ઓગસ્ટે ડો. શિવેન્દ્ર ગુપ્તાનો કાર્યકાળ પૂર્ણ થવા આવ્યો છે ત્યારે નર્મદ યુનિ. દ્વારા નવા કુલપતિની ભરતી માટેની જાહેરાત બહાર પાડવામાં આવી છે.
અમારી યુનિવર્સિટી બચાવો, અમને સારા કુલપતિ આપો, દક્ષિણ ગુજરાતના લોકોની માંગ
નવા કુલપતિની પસંદગી માટેની સર્ચ કમિટીમાં ત્રીજા નામની જાહેરાત કર્યા વગર જ યુનિવર્સિટીએ તાબડતોબ જાહેરાત બહાર પાડીને દાવેદારોના બાયોડેટા મંગાવી લીધા છે. આ સાથે યુનિવર્સિટી વર્તુળમાં કુલપતિ ગુપ્તાને એક્સ્ટેન્શ આપવાની ચર્ચાએ પણ જોર પકડ્યું છે. પરંતું સુત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે નર્મદ યુનિવર્સિટીની ઓફિશ્યલ વેબસાઈટ પર કુલપતિનીને પદ્દ પરથી હટાવવા માટેની 100 તી વધારે અરજીઓ આવી છે. યુનિવર્સિટીના મેમ્બરો, વિદ્યાર્થીઓ અને સામાજીક સંસ્થાઓ દ્વારા રજૂઆત કરવામાં આવી છે કે નર્મદ યુનિવર્સિટીમાં અગાફ અપૂરતી લાયકાત અને અયોગ્યતા ઘરાવતા કુલપતિ નિમવામાં આવ્યા હતા. દક્ષિણ ગુજરાતમાં એવા ઘણા હોદ્દેદારો છે જે કુલપતિ બનવાની લાયકાત ઘરાવે છે. આ સંજોગોમાં દક્ષિણ ગુજરાતના કોઈ સ્થાનિક શિક્ષણવિદ્દને કુલપતિ નિમવામાં આવે તેવી ઉગ્ર માંગ કરવામાં આવી છે.