નર્મદાઃ અત્યારે દુલ્હન વગર જાન પાછી ગયાના અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે. જ્યાં વિદાય સમયે દુલ્હને હાર્ટ એટેક આવતા મોત થયું હોય તો અન્ય બીમારીના કારણે દુલ્હન હોસ્પિટલ ભેગી થઈ હોવાની ઘટના બની હતી. અને આમ વરરાજાને દુલ્હન વગર જ જાન પાછી લઈ જવાની ફરજ પડી હતી. આવી જ એક ઘટના નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના એક ગામમાં બની હતી. અહીં પોટો પડાવવાની નાની અમથી વાતે મોટું સ્વરૂપ ધારણ કર્યું હતું. અને અંતે જાન દુલ્હન લીધા વગર જ પાછી જતી રહી હતી. આ ઘટના ટોક ઓફ ધ ટાઉન બની છે.
આ અંગે મળતી માહિતી પ્રમાણે, નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના મોજરા ગામનાં વરરાજા સુખદેવભાઈ ચતુરભાઈ વસાવાના લગ્ન ધામધૂમથી થયા હતાં. લગ્નની દરેક વિધિ મંત્રોચ્ચાર સાથે થઇ હતી. વરરાજા સુખદેવભાઇ વસાવા 17મી માર્ચનાં રોજ જાન લઇને ગઢ ગામમાં લગ્ન કરવા ઉત્સાહપૂર્વક ગયા હતા.
જ્યાં ગંગાકુમારી વસાવા સાથે તેમણે લગ્ન પણ કર્યા હતા. રીતરિવાજો સાથે મંગળ ફેરા ફર્યા હતા. જે બાદ છેડા છોડવાની વિધિ પણ શરૂ થઇ હતી. આ વિધિ દરમિયાન બંને પક્ષને પહેલા ફોટા પડાવવા હતા. જેમા થોડી બોલાચાલી થઇ ગઇ હતી. કન્યા પક્ષે કહ્યું હતું કે, અમને પહેલા ફોટા પડાવી લેવા દો. જે બાદ ઉગ્ર બોલાચાલી થતા કન્યાના મામાએ કહ્યું હતું કે, અમારે અમારી દીકરી તમને નથી આપવી.
જે બાદ વરરાજા જાન સાથે દુલ્હનને લીધા વગર પાછા ફર્યા હતા. જે બાદ બંને ગામોમાં માત્ર આ વાતની જ ચર્ચાઓ ચાલી રહી છે. બંને પક્ષના લોકો પોલીસ સ્ટેશનમા જઇને ફરિયાદ નોંધાવવાનું વિચારી રહ્યાં છે.