ગુજરાતમાં શાળાઓ શરૂ કરવાને લઇને ડે. સીએમ નીતિન પટેલે નિવેદન આપતા જણાવ્યું કે, “શાળાઓ શરૂ કરવા મુદ્દે સંકલન બાદ અમે નિર્ણય કરીશું. રાજ્ય સરકાર તમામ વિચારણા કરીને આ મામલે નિર્ણય કરશે. કેન્દ્ર સરકારની ગાઇડલાઇન અને કોવિડ-19ની પરિસ્થિતિના આધારે આ નિર્ણય લેવામાં આવશે.”
કમલમ ખાતે સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણિયાના અધ્યક્ષ સ્થાને આજે ભાજપ પ્રદેશ કાર્યાલયમાં એક બેઠક યોજાઇ હતી. જેમાં PM મોદીના જન્મદિવસને લઇને સમગ્ર દેશમાં ચાલી રહેલા સેવા સપ્તાહના કાર્યક્રમ અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં નીતિન પટેલે શાળાઓ ખુલવા અંગે નિવેદન આપતા જણાવ્યું કે, “શાળાઓ શરૂ કરવા મામલે સંકલન બાદ નિર્ણય કરવામાં આવશે. આ અંગે રાજ્ય સરકાર તમામ વિચારણા કરીને જ શાળાઓ શરૂ કરવા અંગે નિર્ણય કરશે.”
રાજ્યનાં ડે. સીએમ નીતિન પટેલે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મામલે નિવેદન આપતાં જણાવ્યું કે, “દક્ષિણ ભારતમાં ડુંગળીના પાકને મોટું નુકસાન થયું છે. ભારત સરકારે વિચારીને જ નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે. કોઇ પણ ચીજવસ્તુઓની અછત ન સર્જાય તે સરકારની જવાબદારી છે. ભારત સરકાર ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખી યોગ્ય નિર્ણય કરશે.”
ઊંઝા APMC મુદ્દે ડે. સીએમ નીતિન પટેલે નિવેદન આપતા જણાવ્યું કે, “મારી પાસે વિગતવાર માહિતી નથી. પરંતુ કોઇ ગેરકાયદે પ્રવૃત્તિ થતી હોય તો જરૂરથી કાર્યવાહી કરાશે. APMCમાં ખોટું થયું હશે તો આકરા પગલાં લેવામાં આવશે.”