Obesity Clinic Gandhinagar Civil Hospital : નિષ્ણાતોની ટીમથી સુસજ્જ ક્લિનીક, વ્યાપક તબીબી તપાસ અને માર્ગદર્શન
Obesity Clinic Gandhinagar Civil Hospital : આજના સમયમાં શરીરનું વધતું વજન માત્ર દેખાવ પૂરતું મામલો નથી, પણ અનેક ગંભીર બીમારીઓની શરૂઆત બની શકે છે. હૃદયરોગ, ડાયાબિટીસ, બ્લડપ્રેશર જેવી જીવલેણ બીમારીઓ માટે ઓબેસીટી એક મોટું જોખમ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ શરૂ કરાયેલ “મેદસ્વિતા મુક્ત ભારત” અભિયાનને ગુજરાત સરકારે પણ ગંભીરતાથી અમલમાં મૂક્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે “સ્વસ્થ ગુજરાત – મેદસ્વિતા મુક્ત ગુજરાત”ની ઝૂંબેશ શરૂ કરીને સમગ્ર રાજ્યમાં સાર્વજનિક આરોગ્યને નવી દિશા આપી છે.
આ ઝૂંબેશના ભાગરૂપે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મે મહિનાના પ્રથમ અઠવાડિયામાં રાજ્યનું પ્રથમ ઓબેસીટી ક્લિનીક શરૂ કરવામાં આવ્યું છે. વોર્ડ નં. ૧૪માં આવેલી આ ક્લિનીક ખાસ કરીને વધેલા વજનથી પીડાતા દર્દીઓ માટે કાર્યરત છે. અહીં નિષ્ણાત તબીબો, કુશળ નર્સિંગ સ્ટાફ અને અનૂભવી કાઉન્સેલર્સ સાથે સમગ્ર સારવાર પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે.
હાલ સુધીમાં કુલ ૫૬૯થી વધુ દર્દીઓનું સંપૂર્ણ સ્ક્રીનિંગ કરીને તેમને યોગ્ય સલાહ અને સારવાર આપવામાં આવી છે. ક્લિનીકમાં દર્દીઓનું વજન, ઊંચાઈ અને બોડી માસ ઈન્ડેક્સ (BMI) માપીને તે તંદુરસ્ત, વધુ વજનવાળા, મેદસ્વી કે અતિમેદસ્વી કેટેગરીમાં આવેછે કે નહિ તે નિર્ધારણ કરવામાં આવે છે. જેમનો BMI ૨૫થી વધુ હોય, તેમને મેડિકલ અને ન્યુટ્રીશનલ કાઉન્સેલિંગ આપવામાં આવે છે.
આ પ્રક્રિયામાં ડાયેટેશિયન દ્વારા પોષક તત્ત્વોથી ભરપૂર અને જીવનશૈલીને અનુરૂપ ડાયટ પ્લાન તૈયાર કરવામાં આવે છે. મેડિકલ ઓફિસર દર્દીની સંપૂર્ણ હિસ્ટ્રી લે છે અને જરૂરિયાત મુજબ પીડિયાટ્રીશિયન, જનરલ સર્જન, સાયકિયાટ્રિસ્ટ, ગાયનેકોલોજીસ્ટ જેવા નિષ્ણાતોની મદદથી વધુ તપાસ કરવામાં આવે છે.
મેદસ્વિતા હ્રદયરોગ અને ડાયાબિટીસ જેવી બીમારીઓ સાથે સીધો સંબંધ ધરાવતી હોવાથી, આ ક્લિનીક એવા દર્દીઓ માટે જીવનરક્ષક સાબિત થઈ રહી છે. દર્દીઓને નિયમિત યોગાસન, કસરત, અને તણાવ વ્યવસ્થાપન અંગે પણ માર્ગદર્શન આપવામાં આવે છે જેથી તેઓ શારીરિક અને માનસિક રીતે પણ મજબૂત બની શકે.
રાજ્ય સરકારે યુવાઓને વધુ સશક્ત અને સ્વસ્થ બનાવવાની દૃષ્ટિએ આ પ્રકારની પહેલ શરૂ કરી છે. યુવાઓમાં વધતા હાર્ટ એટેકના કેસો પાછળ પણ મેદસ્વિતા એક મોટું કારણ બની રહી છે, જેને અટકાવવી ખૂબ જરૂરી બની ગઈ છે.
આવી પહેલ માત્ર સારવાર સુધી સીમિત નથી રહેતી, પણ લોકોને જીવનશૈલીમાં પરિવર્તન લાવવા માટે પ્રેરણા આપતી બનાવે છે. દવા કરતાં વધારે જરૂરી છે દૃઢ ઈચ્છાશક્તિ, નિયમિતતા અને સ્વસ્થ આદતો.
ચાલો, આપણે સૌ મળીને આ વૈશ્વિક આરોગ્ય પડકાર સામે એક મજબૂત મિસાલ બનીએ – મેદસ્વિતાની સામે એક સંકલ્પ લઈએ – સ્વસ્થ જીવન માટે એક સશક્ત પગલું!